અમેરિકાએ આપી ચેતવણી : પાકિસ્તાન પોતાની જમીન પર આતંકી પ્રવૃતિઓ બંધ કરે
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાનો પડઘો પુરા વિશ્વમાં પહોચ્યો છે. ત્યારે પાકિસ્તાને આ અંગે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં પોતાની પોઇ પણ પ્રકારની ભુમીકા હોવાનો ઇન્કાર કર્યો છે. આજે સવારે પાકિસ્તાન સરકાર તરફથી જાહેર થયેલ પ્રેસ રીલીઝ જાહેર કરીને આતંકી હુમલામાં ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે, પાકિસ્તન તુરંત તેમની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે. અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લઈને કહ્યું છે કે, દરેક દેશે આતંક સામે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અંર્તગત તેમની જવાબદારી સમજવી પડશે અને આતંકીઓને આસરો આપવાનું બંધ કરવું પડશે. અમે આતંકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતિમાં ભારત સાથે ઉભા છીએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવામાં આવેલા પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ સંગઠન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના છે.
પુલવામામાં આતંકી હુમલામાં વિશ્વ ભારતની પડખે
ભારતનું પાડોશી રાષ્ટ્ર શ્રીલંકા, બાંગ્લાદેશ, રશિયા સહીત અન્ય રાષ્ટ્ર ઈઝરાયલ, ફ્રાન્સ, માલદીવ, થાઈલેન્ડ, કેનેડા સહિત ઘણાં દેશોએ જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પુતિને શહીદ થયેલ જવાનો પર દુખ વ્યક્ત કર્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદત સામે દુ:ખ વ્યક્ત કર્યું છે. પુતિને કહ્યું છે કે, આ હુમલાના જવાબદાર લોકોને સજા મળવી ખૂબ જરૂરી છે. અમે આ ઘટનાની આકરી નિંદા કરીએ છીએ.
બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાએ પણ શોક વ્યક્ત કર્યું
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, ઢાકા હંમેશા આતંકી ગતિવિધિઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી જાળવી રાખશે. ઘાયલો જલદી સાજા થઈ જાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન માલ્કાએ હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતા કહ્યું છે કે, અમે આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે છીએ.