બીજેપીમાં સંસ્કૃતિના સ્થાને વિકૃતિ પ્રવેશી ગઈ છે : ઉદ્ધવ
દેવેન્દ્ર ફડણવીસ
ત્રિપક્ષી મહાવિકાસ આઘાડીની સરકારને એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ બીજેપીને વિકૃતોની મંડળી ગણાવતાં ભવિષ્યમાં પણ ભગવી યુતિ (શિવસેના-બીજેપી)ની શક્યતા નકારી હતી. ૨૮ નવેમ્બરે આઘાડી સરકારના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષ પ્રમુખે સરકારના સાથી પક્ષો કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ પક્ષો સરકારને અસ્થિર કરવાનું કોઈ પગલું લે એવા નથી. મુખ્ય પ્રધાને ભવિષ્યમાં પણ એ બે પક્ષો જોડે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો.
આઘાડી સરકારની પ્રથમ વરસગાંઠની પૂર્વ સંધ્યાએ ગઈકાલે ચુનંદા પત્રકારો સાથે વાતચીતમાં ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મને પણ તેમની પત્નીઓ, બાળકો અને કુટંબીજનો વિશે બોલતાં આવડે છે. પરંતુ મારા હિન્દુત્વના સંસ્કારો મને એવું ખરાબ વર્તન કરતાં રોકે છે. બીજેપીમાં સંસ્કૃતિના સ્થાને વિકૃતિ પ્રવેશી ગઈ છે. અમે પચીસ વર્ષોમાં સહન કરેલા અપમાનોનો લોકોને હવે ખ્યાલ આવશે. બીજેપીનો ઠાકરે પરિવાર અને શિવસેના પ્રત્યેનો દુર્ભાવ ખુલ્લો પડી ગયો છે. જોકે અમે તો એજ અન્યોને માન આપનારા લોકો અને રાજકીય પક્ષ છીએ. ચૂંટણી પૂર્વેનું બીજેપી જોડેનું ગઠબંધન મેં શા માટે તોડ્યું અને જુદી વિચારસરણી ધરાવતા પક્ષો સાથે મળીને સરકાર શા માટે રચી એ હવે લોકોને સમજાશે. અમે ક્યારેય નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સામે વ્યક્તિગત કે તેમના પરિવારો પર આક્ષેપો કર્યા નથી. અમે ફક્ત તેમની રાજકીય નીતિઓને વખોડી છે. ભવિષ્યમાં ૨૦૨૨ની મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી સહિત તમામ ચૂંટણીઓમાં બીજેપીને હરાવીશું.