ખાખી વરદીમાં માનવતા
પાર્લેકર પોલીસ ટીમ સાથે ચર્ચા કરી રહેલા ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણે
ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનુભવ ક્યારેક થતા હોય છે. વિલે પાર્લે પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક પોલીસ-અધિકારી પણ રસ્તામાં રઝળતા લોકો, માનસિક રીતે બીમાર કે બેઘર લોકો સામે સંવેદના ધરાવતા હોવાથી તેમણે પાર્લેકર પોલીસ મિત્ર ટીમની મદદથી લૉકડાઉનના સમયમાં લાંબા સમયથી પરિવારથી વિખૂટા પડી ગયેલા ચાર લોકોને પરિવાર સાથે મેળાપ કરાવવાની સાથે માનસિક રીતે બીમાર એવા ૪ જણ તથા ૩ ભિખારીને રીહૅબિલિટેશન સેન્ટરમાં પહોંચાડવાનું કામ કર્યું છે. આમાંથી માનસિક રીતે બીમાર બે જણની સારવાર કરીને તેમના ઘરે પહોંચાડ્યા હતા. ચારમાંથી બે બેઘરને પાલઘરમાં આવેલા આનંદ વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે.
ADVERTISEMENT
લૉકડાઉનમાં રસ્તામાં રઝળતા લોકોને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા.
વિલે પાર્લે પોલીસ સ્ટેશનના ક્રાઇમ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણે લૉકડાઉનમાં નાઇટ પૅટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સૂમસામ રસ્તા પર કેટલાક લોકો રસ્તામાં બેસેલા તેમણે જોયા હતા. કોવિડને લીધે તમામ લોકો પોતાના ઘરોમાં ભરાઈ ગયા છે એવા સમયે આ લોકો ભિખારી છે કે બીજા કોઈ એની તપાસ કરવા માટે તેમણે પોતાની ‘પાર્લેકર પોલીસ મિત્ર’ ટીમને કામે લગાવી હતી.
ટીમની તપાસમાં જણાયું હતું કે પાર્લા (ઈસ્ટ)માં મંદિર કે આસપાસના વિસ્તારમાં રસ્તામાં બેસતા લોકોમાંથી કેટલાક સારા ઘરના છે. રાજેન્દ્ર કાણેએ ૪ બેઘર, ૪ માનસિક રીતે અક્ષમ અને ૩ ભિખારીના પોતાના ખર્ચે વાળ કપાવ્યા, સારાં કપડાં પહેરાવ્યાં અને આમાંના અમુકને પાલઘરમાં આવેલા આનંદ વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા.
રાજેન્દ્ર કાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૫માં મેં ‘પાર્લેકર પોલીસ મિત્ર’ ટીમ બનાવી હતી, જેના માધ્યમથી શક્ય હોય એટલા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરું છું. મને આનંદ છે કે આ સદ્કાર્યમાં અનેક લોકો સામે ચાલીને અમને મદદ કરે છે, જેનાથી અનેકનાં જીવન બદલાઈ જાય છે.’
‘પાર્લેકર પોલીસ મિત્ર’નાં સભ્ય ચેતના ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનના સમયમાં ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેના માર્ગદર્શનમાં અમારી ટીમે તાજેતરમાં ૧૧ લોકોને મદદ કરવા ઉપરાંત કોવિડની મુશ્કેલીમાં સપડાયેલા અસંખ્ય લોકોને હૉસ્પિટલથી માંડીને બીજી સુવિધા પૂરી પાડવામાં સહયોગ કર્યો છે. કાણે સર ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે.’