યેરવડા જેલમાં બની છે અનેક સીમાચિહ્ન જેવી ઘટનાઓ
મહારાષ્ટ્રમાં નવ સેન્ટ્રલ જેલ છે અને એમાંની એક પુણેની યેરવડા જેલ શહેરની બહારના વિસ્તારમાં આવેલી છે. આઝાદીના સંગ્રામ વખતે ૧૯૩૨માં બ્રિટિશરોએ મહાત્મા ગાંધીને એમાં કેદ કર્યા હોવાથી આ જેલ જાણીતી બની છે. અમિþતસરના બહુ ગાજેલા સુવર્ણમંદિર પર હાથ ધરાયેલા ઑપરેશન બ્લુસ્ટારના પ્રણેતા ભૂતપૂર્વ આર્મી ચીફ દિવંગત અરુણકુમાર વૈદ્યના હત્યારાઓ જિંદા અને સુખાને પણ ૧૯૯૨માં યેરવડા જેલમાં જ ફાંસી અપાઈ હતી. રેકૉર્ડ પ્રમાણે છેલ્લે અહીં ૧૯૯૫માં એક ખૂનના ગુનેગારને ફાંસી અપાઈ હતી.
બ્રિટિશરોના જમાનામાં આ જેલમાં ૧૮૦૦ કેદીઓ રાખી શકાતા હતા, પણ પછી એની ક્ષમતા વધારીને ત્રણ હજાર કેદીઓની કરવામાં આવી છે. તાજેતરમાં ઇન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠનના શંકાસ્પદ આતંકવાદી કાતિલ સિદ્દીકીની આ જેલમાં સાથીદાર દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે એ ચર્ચાનું કેન્દ્ર બની હતી.