હોસ્પિટલો જ બીમાર, આરોગ્ય કેન્દ્રો-દવાખાનામાં 12 હજાર જગ્યાઓ ખાલી
વિધાનસભાની બજેટ સત્ર ચાલી રહ્યું છે, સરકાર તરફથી અપાતી માહિતીમાં રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પહેલા દારૂબંધી, પછી કેનાલો અને હવે રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અંગે રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા ચોંકાવનારા છે. રાજ્ય સરકારની હોસ્પિટલમાં મોટા ભાગના સ્ટાફની જગ્યાઓ ખાલી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવલાના જવાબમાં રાજ્ય સરકારે આરોગ્ય તંત્રની સ્થિતિ અંગે આંકડા જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ 41 હજાર જગ્યાઓ મંજૂર થયેલી છે. ચોંકાવનારી બાબત એ છે કે તેમાંથી 28 ટકા એટલે કે 12,055 જેટલી જગ્યાઓ ખાલી છે.
જો જિલ્લાવાર જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં 833, પાટણમાં 726, વલસાડમાં 551, કચ્છમાં 379 જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર તરફથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપેલા લેખિત જવાબમાં ઉલ્લેખ કરાયો છે કે, રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલમાં 4,644 ખાલી જગ્યાઓમાં વર્ગ-2 અને 4ના કર્મચારીઓની ભરતી થઇ નથી. આ ઉપરાંત રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલોમાં 4,644, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3,916 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3,495 જગ્યાઓ હજી પણ ખાલી રહી છે. જે જગ્યાઓમાં ભરતી કરવામાં આવી છે તેમાંની મોટાભાગની જગ્યાઓમાં વર્ગ 3-4ને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી ભરવામાં આવી છે. જ્યારે વર્ગ 1,2 અને 3માં 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી રહી હોવાનો સ્વીકાર કર્યો છે.
ADVERTISEMENT
આ ઉપરાંત રાજ્ય સરકારે વિધાનસભામાં બેરોજગારીના આંકડા પણ રજૂ કર્યા છે. જે પ્રમાણે રાજ્યમાં હાલ 4.93 લાખથી વધુ લોકો બેરોજગાર છે. રોજગાર વિનિયમ બ્યૂરોના લાઈવ રજિસ્ટરમાં 4,68,117 હાઈ ક્વોલિફાઈડ શિક્ષિત યુવક- યુવતીઓ સહિત કુલ 4.93 લાખથી વધુ બેરોજગારો નોંધાયેલા છે.