આજથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ, આરતીના સમયમાં ફેરફાર થયો
અંબાજી
ભાદરવી પૂનમ હોઈ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરનાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર થયો છે. આજથી ૧૪ સપ્ટેમ્બર સુધી નવો આરતી અને દર્શનનો નવો સમય યથાવત્ રહેશે. યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલે ૮ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે અને આ વર્ષે મેળામાં ૨૫ થી ૩૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચશે.
આજથી ભાદરવી પૂનમ સુધી આ ફેરફાર અમલમાં રહેશે. મંદિરમાં આજથી આરતીનો સમય ૬.૧૫થી ૬.૪૫ કરાયો છે. તો સાંજની આરતીનો સમય ૭.૦૦થી ૧૯.૩૦ કરાયો છે. માતાજીનાં દર્શનના સમયની વાત કરીએ તો નીચે બતાવેલા સમય સુધી માતાજીનાં દર્શન માટે દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.
ADVERTISEMENT
સવારે ૬.૪૫થી ૧૧.૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે ૧૨.૩૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે, સાંજે ૭.૩૦થી લઈને ૧.૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.
આ પણ વાંચો : દ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યું : 13 ઇંચ વરસાદ ખાબક્યો
ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમે જગત જનની મા અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીઓ પગપાળા મા અંબાના શરણે અને ચરણે શિષ નમાવવા જઈ રહ્યા છે, ત્યારે આ પદયાત્રીઓ હાલ રાજ્યના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે જિલ્લાના માર્ગો હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. પદયાત્રીઓ મા અંબાના જુદા જુદા રથો સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. રસ્તાઓ પર ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદ ગુંજી રહ્યા છે. બીજી તરફ આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર વિસામા પણ શરૂ કરાયા છે, જ્યાં પદયાત્રીઓની સેવા કરાઈ રહી છે.