ઘાટકોપરના શૅરબ્રોકરનો સંથારો પચ્ચખાણ લીધાના અડધો કલાકમાં સીઝી ગયો
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં વલ્લભબાગ લેનની રાજારામ મેન્શન સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષના જિતેન્દ્ર કોઠારી છેલ્લા ૧૪ દિવસથી કોરોનાને કારણે ઘાટકોપરની હિન્દુસભા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા પરંતુ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો નહોતો આથી તેમણે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજસાહેબનો જૂનાગઢમાં સંપર્ક કરીને સંથારાના પચ્ચખાણ લીધા હતા. જોકે પચ્ચખાણ લીધાની દસ જ મિનિટમાં તેમનો સંથારો સીઝી ગયો હતો.
ગઈ કાલે સવારે જિતેન્દ્રભાઈએ પરિવારજનો સમક્ષ સંથારો લેવાની વાત કરી હતી. એટલે કુટુંબીજનોએ જૂનાગઢમાં બિરાજમાન નમ્રમુનિ મહારાજસાહેબને વિડિયો કૉલ કર્યો. મહારાજસાહેબે શરૂઆતમાં જિતેન્દ્રભાઈને સંથારો ન લેવાની સલાહ આપી, પણ તેમના આગ્રહને લીધે જિતેન્દ્રભાઈને સાગરી સંથારો લેવડાવ્યો હતો.
ADVERTISEMENT
સદ્ગત જિતેન્દ્રભાઈના સાઢુભાઈ ઉપેનભાઈ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જિતેન્દ્રભાઈને નખમાં પણ કોઈ રોગ નહોતો, તેઓ એકદમ હેલ્દી હતા. અચાનક તેમને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. ઉંમર મોટી હોવાથી સારવારમાં તેમને કોઈ અસર ન દેખાતા તેઓ જીવ ત્યાગવા તૈયાર થયા હતા અને પચ્ચખાણ લીધાના અડધા જ કલાકમાં તેમણે જીવ ત્યાગી દીધો હતો. તેઓ શૅરબજારનું કામ કરતા હતા.