2019માં તો હું જ છું, 2024માં જોઈશું: મોદી
આંધ્ર પ્રદેશના કુનૂર્લમાં વડા પ્રધાનનું સન્માન કરતા બીજેપીના કાર્યકર્તાઓ.
મહાઠબંધન મહામિલાવટવાળું છે. સફળ નહીં થાય, પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશે, અભિનંદન જ્યાં સુધી પાકિસ્તાનમાં હતો ત્યારે વિપક્ષે ષડ્યંત્ર રચ્યું હતું, ભાગેડુઓ જેટલા રૂપિયા લઈને ભાગ્યા એનાથી વધુ સંપત્તિ જપ્ત કરી, કૉંગ્રેસ આંકડા વગર લોકો વચ્ચે રોજગાર અંગે જુઠ્ઠાણાં અને ભ્રમ ફેલાવી રહી છે.
લોકસભા ચૂંટણી ર૦૧૯ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચૅનલને એક મોટો ઇન્ટરવ્યુ આપ્યો છે. આ ખાનગી ચૅનલ સાથેની વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અને વિપક્ષથી લઈને પુલવામા આતંકી હુમલો, પાકિસ્તાન વિરુદ્ધ ઍર-સ્ટ્રાઇક, ઍરફોર્સના પાઇલટ અભિનંદનની વાપસી અને ઇમરાન ખાન પર ખુલ્લા મને વાત કરી હતી.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ર૦૧૯ની ચૂંટણીમાં અમે ૩૦૦થી વધુ બેઠકો જીતીશું. આ વખતે અમારી સામે મુકાબલામાં કોઈ છે જ નહીં, જ્યારે ર૦ર૪માં મોદીની વિરુદ્ધ મેદાનમાં કોઈ પણ હોઈ શકે છે. આ વખતે મહાઠબંધનનું ગણિત કામ નહીં કરે. ઉમેદવારીપત્રો ભર્યા બાદ વિરોધ પક્ષો વિખેરાઈ જશે, પરંતુ ર૦૧૯માં સરકાર બનાવ્યા બાદ અમે વિપક્ષોને સાથે લઈને કામ કરીશું. મોદીએ કહ્યું કે વિપક્ષે હવે 2024 માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે 2019 લોકસભા ચૂંટણી માટેની જનતાએ મન બનાવી લીધું છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસે ચૂંટણી દરમ્યાન વાયદાઓ કરીને નવયુવાનોને લૂંટ્યા છે. નેહરુજી પણ ગરીબીની વાત કરતા, ઇન્દિરાજી પણ ગરીબીની વાત કરે છે. આજે તેમની પાંચમી પેઢી પણ ગરીબીની વાત કરી રહી છે.
આ પણ વાંચો : કોંગ્રેસે મુંબઈ ઉત્તરથી ઉર્મિલા માતોંડકરને આપી ટિકિટ
જ્યારે પાકિસ્તાને ઍરફોર્સના પાઇલટ અભિનંદનને પરત સોંપ્યા ત્યારે દેશના તમામ રાજકીય પક્ષોએ એકસાથે કહેવું જોઈતું હતું કે તેમને દેશની સેના પર ગર્વ છે કે તેમણે પાકિસ્તાનના એફ-૧૬ને ફૂંકી માર્યું છે. એના બદલે અભિનંદન ક્યારે પરત આવશે એની ચર્ચા કરવા લાગ્યા હતા. એ રાત્રે વિરોધ પક્ષોએ કૅન્ડલ લાઇટ માર્ચ યોજીને પુલવામા હુમલાને મુદો બનાવવાનું ષડ્યંત્ર તૈયાર કરી લીધું હતું, એ પહેલાં જ સાંજે ૪-પ વાગ્યે પાકિસ્તાનના વડા પ્રધાને અભિનંદનની વાપસીની જાહેરાત કરી દીધી હતી અને તેથી વિપક્ષોનું ષડ્યંત્ર ધરાશાયી થઈ ગયું હતું. (જી.એન.એસ.)