ક્યાં મળશે? : જય જલારામ ખમણ હાઉસ, સિક્સ્ટી ફીટ રોડ, શ્રીપાલનગર, ભાઈંદર-વેસ્ટ
જય જલારામ ખમણ હાઉસ : ભાઈંદરમાં ૩૦ વર્ષથી
વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો ખમણ અને ઢોકળાં છે. જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં-ત્યાં વસે ખમણ અને ઢોકળાં. એમ ભાઈંદરમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી ઘણી વધારે છે ત્યાં રાજુભાઈ સંઘવી છેલ્લાં ૩૦ વર્ષથી ખમણ અને ઢોકળાં વેચી રહ્યા છે. તેમની પાસે ગણીને પાંચ-છ જેટલી ગુજરાતી આઇટમો છે છતાં અહીં સવારથી લોકોની લાઇન લાગે છે. ચાલો જાણીએ તેમના ગુજરાતી નાસ્તામાં એવી તે શું ખાસિયત છે. ભાઈંદર-વેસ્ટમાં રહેતા અને ત્યાં જ જલારામ ખમણ હાઉસ નામની દુકાન ધરાવતા રાજુભાઈ સંઘવી (સુરેન્દ્રનગરવાળા) કહે છે, ‘હું પચીસ વર્ષ સુધી લારી પર ખમણ, ખાંડવી અને ઢોકળાં લઈને આખા ભાઈંદરમાં ફરતો હતો અને વેચતો હતો. લોકોને એ ખૂબ ભાવતાં હતાં. પછી મેં પાંચેક વર્ષ પહેલાં જ નાનકડી શૉપ શરૂ કરવાનું સાહસ કર્યું. અહીં મેં બીજી ત્રણ-ચાર આઇટમ ઉમેરી. હવે અહીં ખમણ, ઢોકળાં ઉપરાંત પાતરાં, ખમણી અને ખાંડવી પણ મળે છે. શિયાળામાં અમે ઊંધિયું પણ બનાવીએ છીએ. એકસરખા સ્વાદને લીધે લોકોને મારી આઇટમ આજે પણ એટલી જ ભાવે છે. મેં મારા ભાવ પણ ખૂબ જ રીઝનેબલ રાખ્યા છે. ઘણા લોકોને વિશ્વાસ નથી થતો, પરંતુ સત્ય એ છે કે હું મારી કોઈ પણ ફરસાણની આઇટમમાં આથો લાવવા માટે કંઈ પણ નાખતો નથી. સોડા, લીંબુ, દહીં અને છાશ જેવું કંઈ પણ મારી આઇટમમાં પડતું નથી છતાં એ કુદરતી રીતે સરસ, પોચાં અને સ્વાદિષ્ટ બને છે. દરેક વસ્તુ હું મારા હાથથી જ બનાવું છું. બહુ ઓછા લોકો એવા હોય છે જેમના હાથની ગરમીથી કુદરતી રીતે આથો આવી જતો હોય છે. એમાંનો હું એક છું.’ ક્યાં મળશે? : જય જલારામ ખમણ હાઉસ, સિક્સ્ટી ફીટ રોડ, શ્રીપાલનગર, ભાઈંદર-વેસ્ટ
