ધર્મ એટલે નિયમિત મંદિરે જવાની પ્રક્રિયા નથી પણ ધર્મ એટલે મંદિરે જઈને સાચા અર્થમાં મનનું પ્રક્ષાલ કરો અને મનમાં રહેલો બધો મેલ કાઢીને નવેસરથી દિવસનો પ્રારંભ કરો.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ધર્મ એટલે માત્ર પૂજા-પાઠ કે મંદિર અને મૂર્તિ જ નહીં. ધર્મ એટલે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને ધર્મ એટલે સમાજ પ્રત્યેની ફરજ, પણ ધર્મ એટલે માત્ર દીવાબત્તી નહીં. એ કરો તો સારું જ છે, પણ ધર્મ એટલે માણસાઈની ભાવના અને ધર્મ એટલે પ્રત્યેક જીવ પ્રત્યે સમભાવની માનસિકતા. જોકે આ બધી વાતો વિસરાતી ગઈ અને ધર્મ માત્ર ટીલાં-ટપકાંમાં સીમિત રહી ગયો. હવે સમય જ્યારે બદલાયો છે, સદીઓ વીતી ગઈ છે ત્યારે આ વાતમાં ફરી સુધારો કરવાના દિવસો આવી ગયા છે.
ધર્મ એટલે નિયમિત મંદિરે જવાની પ્રક્રિયા નથી પણ ધર્મ એટલે મંદિરે જઈને સાચા અર્થમાં મનનું પ્રક્ષાલ કરો અને મનમાં રહેલો બધો મેલ કાઢીને નવેસરથી દિવસનો પ્રારંભ કરો. મંદિરમાં નહીં જાઓ તો ચાલશે, ભગવાન ક્યાંય ડરાવવા-ધમકાવવા નથી આવતા કે તમે આજે કેમ નથી આવ્યા. સેંકડો લોકો છે જેઓ વારતહેવારે પણ મંદિર જઈ નથી શકતા અને એ પછી પણ તેમનું ભગવાન કંઈ ખરાબ નથી કરતા. એવા પણ અઢળક લોકો છે જેઓ ખરા અર્થમાં નાસ્તિક છે, ભગવાનનું નામ પણ નથી લેતા અને ભગવાનને માથું નમાવવા પણ નથી જતા અને એ પછી પણ તેઓ સુખી છે, સમૃદ્ધ છે અને અન્યને પણ સુખ-સમૃદ્ધિ આપે છે. જો ભગવાનને વ્યક્તિની સતત હાજરી જોઈતી હોય કે ભગવાન પાસે જવું જરૂરી હોતું હોય તો પછી એ નાસ્તિકો દુખી હોવા જોઈએ. જોકે તેઓ દુખી નથી જે દેખાડે છે કે ભગવાનને વ્યક્તિની હાજરી સાથે કંઈ નિસબત નથી અને જો એવું હોય તો ભગવાનને કઈ વાત સાથે સૌથી વધારે નિસબત છે એ સર્વેએ સમજવું જોઈએ.
ADVERTISEMENT
ભગવાનની એક જ ઇચ્છા છે કે કોઈ એકમેક પ્રત્યે રાગદ્વેષ ન રાખે. પરમકૃપાળુ ઇચ્છે છે કે એ જેમ તમારી સાથે કૃપાદૃષ્ટિ રાખે છે એવી જ રીતે તમે પણ એ તમામ માટે કૃપાદૃષ્ટિ રાખો અને મનમાં જન્મતા રાગદ્વેષને મનમાંથી કાઢો. જગતનો એકમાત્ર જૈન ધર્મ એવો છે જે માફી માગવાની ઘટનાને પણ ઉત્સવની જેમ ઊજવે છે. જૈન ધર્મની ઘણી વાતો એટલી સરસ છે કે અ-જૈનોએ પણ પોતાના જીવનમાં સામેલ કરવી જોઈએ. જૈન ધર્મની એ જ સરસ વાતો પૈકીની એક વાત છે મિચ્છા મિ દુક્કડં. માફી માગો અને આગળ વધો. જૈનોમાં તમને ભાગ્યે જ ગરીબ જોવા મળશે કે જૈનોમાં તમને કોઈ મજૂરી કરતું જોવા નહીં મળે. ઊલટું રોજગાર આપવામાં જૈનો આગળ જ હોય. આવું શું કામ એ વાત તમે સમજવાની કોશિશ કરશો તો તમને સમજાશે કે જૈનો પકડીને નથી રાખતા અને જે પકડીને નથી રાખતા તેમના વિકાસને ક્યારેય કોઈ રોકી કે અટકાવી નથી શકતું. ઉદાહરણ આંખ સામે છે જ તો પછી શું કામ વગર કારણનું ભારણ મન પર રાખવું અને શું કામ નાના એવા મનને કોઈના પ્રત્યેના રાગદ્વેષથી ભરી રાખવું?
છોડો બધું અને જીવનને વધારે તાજગીમય બનાવો.
