સુખ-સાહ્યબીનો કારક એવા શુક્રને વ્યક્તિગત બળવાન કરવાના જેમ ઉપાયો છે એવી જ રીતે પારિવારિક દૃષ્ટિએ પણ એને સ્ટ્રૉન્ગ બનાવવાના રસ્તાઓ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુખ-સાહ્યબી અને ઐશ્વર્યનો કારક એવા શુક્ર ગ્રહને વ્યક્તિગત રીતે બળવાન બનાવવાથી એ અંગત રીતે વ્યક્તિને લાભ આપે, પણ જો એ જ શુક્રને પારિવારિક રીતે બળવાન બનાવવો હોય તો વાસ્તુશાસ્ત્રના અમુક રસ્તાઓ વાપરવા જોઈએ. એ રસ્તાઓ વાપરવાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને લાગણી વધે છે તો સાથોસાથ પરિવારના દરેક સભ્યને પણ એનાથી પ્રગતિના રસ્તાઓ મળે છે. ઘરને સંભળાતી વ્યક્તિનું સોસાયટી અને સમાજમાં માન વધે છે, બાળકો પોતાના એજ્યુકેશનના ફીલ્ડમાં નામના મેળવે છે અને આર્થિક મોરચે જવાબદારી સંભાળતી વ્યક્તિને ફાઇનૅન્સના ક્ષેત્રમાં નવી-નવી તક મળતી થાય છે તો સાથોસાથ તે ફૅમિલી સાથે મોજશોખથી જીવવાનું પણ પસંદ કરતી થઈ જાય છે. નિયમિત રીતે ફૅમિલી સાથે ફરવા જતા અને વેકેશન લેતા પુરુષોના જન્માક્ષરનો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો એમાં શુક્રની સકારાત્મક અસર જોવા મળશે જ મળશે અને કાં તો તેના ઘરને શુક્રપ્રધાન બનાવવામાં આવ્યું હોય એ જોવા મળશે.
શાસ્ત્રો મુજબ શુક્રની દિશા સાઉથ-વેસ્ટ એટલે કે નૈર્ઋત્ય છે. નૈર્ઋત્ય સમૃદ્ધિ લાવવાનું અને સમૃદ્ધિને ઘરમાં ટકાવી રાખવાનું કામ કરે છે. ઘરમાં નૈર્ઋત્ય દિશા જેટલી વધારે ખરાબ હોય કે પછી એ કૉર્નરમાં જેટલી વધારે ગંદકી હોય એટલો જ એ ઘરમાં રહેતી વ્યક્તિઓનો ફાઇનૅન્શિયલ વહીવટ ખરાબ હોય છે એટલે આ કૉર્નર સાફ અને ચોખ્ખી રાખવી. સમૃદ્ધિ લાવતી નૈર્ઋત્ય દિશા ઉપરાંત પણ ઘરમાં અનેક બાબતો એવી છે જેમાં ચીવટ રાખવી હિતાવહ છે. જો દિશા બાબતમાં જ્ઞાન ન હોય તો સ્માર્ટફોનમાં કમ્પાસ ડાઉનલોડ કરીને તમે તમારા ઘરની દિશા ચેક કરી શકો છો.