Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > નો કન્ફ્યુઝન આજે જ છે મહાશિવરાત્રિ

નો કન્ફ્યુઝન આજે જ છે મહાશિવરાત્રિ

Published : 15 February, 2026 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ ટકા શિવરાત્રિની પૂજા-અર્ચના ૧૫ ફેબ્રુઆરીએ રાતે જ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હિન્દુ ધર્મના તહેવારો તિથિ પ્રમાણે ઊજવાતા હોય છે. દેવાધિદેવ મહાદેવનાં પાર્વતી સાથે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે શિવરાત્રિએ લગ્ન થયાં હોવાથી એ પાવન અવસર પર અનેક ભક્તો શિવમંદિરમાં અથવા ઘરે શિવપૂજાનું દિવસના અને રાતના આયોજન કરતા હોય છે. જોકે આ વર્ષે ભક્તો અસમંજસમાં છે કે શિવરાત્રિ આજે ૧૫ ફેબ્રુઆરીએ ગણવી કે ૧૬ ફેબ્રુઆરીએ? એ મુજબ પૂજાનું આયોજન કરવામાં ભક્તો દ્વિધા અનુભવી રહ્યા છે. 

બાબુલનાથ મંદિરના મુખ્ય પૂજારી અશોક દ્વિવેદીએ આ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં કહ્યું હતું કે ‘૧૦૦ ટકા શિવરાત્રિની પૂજા-અર્ચના ૧૫ ફેબ્રુઆરીએ રાતે જ કરવામાં આવશે. ત્રયોદશીનો અંત અને ચતુર્દશીનો પ્રાંરભ થાય ત્યારથી જ શિવરાત્રિનું મહત્ત્વ હોય છે. એ જ રાતે શિવરાત્રિ મનાવવાનું શાસ્ત્રો પ્રમાણિત કરે છે.’      



આ વિશે શાસ્ત્રોક્ત માહિતી આપતાં કર્મકાંડી બ્રાહ્મણ, જ્યોતિષી અને ભાગવતકાર સંતોષ ત્રિવેદીએ ‘મિડ-ડે’ ને જણાવ્યું હતું કે ‘હિન્દુ ધર્મમાં સૂર્યોદયે જે તિથિ હોય એ તિથિ ગણાતી હોય છે. જોકે શાસ્ત્રોમાં ૪ રાત્રિઓને મહત્ત્વ આપ્યું છે. કાળરાત્રિ જે દિવાળીની આગલી રાતે હોય છે, બીજી મહાશિવરાત્રિ, ત્રીજી હોળીની રાત જે દારુણ રાત્રિ કહેવાય છે, જ્યારે જન્માષ્ટમીની રાત મોહરાત્રિ ગણાય છે. આ ચાર રાત્રિમાં રાતે ઉપાસના કરવાનું મહત્ત્વ છે.’ 


આ વખતે શિવરાત્રિ ચૌદશની શરૂઆત ૧૫ ફેબ્રુઆરીએ સાંજે ૫.૦૪ વાગ્યે થવાની છે જે સોમવારે ૧૬ ફેબ્રુઆરીએ સાંજે ૫.૩૪ વાગ્યે સમાપ્ત થશે. સામાન્યપણે સૂર્યોદયની તિથિ લેવામાં આવતી હોય છે. એથી જો એ સૂર્યોદય પ્રમાણે ગણવામાં આવે તો સોમવાર થાય, પરંતુ ચૌદશ સોમવારે સાંજે ૫.૩૪ વાગ્યે પૂરી થઈ જાય છે અને આ જે શિવરાત્રિનું પર્વ છે એ રાત્રિનું પર્વ છે .એટલે એ સોમવારે ચૌદશ પૂરી થઈ ગયા પછી ઊજવી ન શકાય. એટલે રવિવારે ૧૫ ફેબ્રુઆરીએ રાતે જ એની વિધિ-વિધાનયુક્ત પૂજા કરવી યોગ્ય ગણાશે. એ ઉપરાંત જે રીતે દિવસે બપોરના સમયે અભિજિત મુહૂર્ત હોય છે એ પ્રમાણે રાતના પણ જો નિશિતા કાળમાં પૂજા, જપ-અર્ચના અને ભક્તિ કરવામાં આવે તો એની વિશેષ અસર થાય છે એવું કહેવાય છે. શિવરાત્રિનો નિશિતા કાળ રવિવારે મધરાત પછી તારીખ મુજબ ૧૬-૦૨-૨૦૨૬ના ૦૦.૨૯ વાગ્યાથી ૧.૧૭ વાગ્યા સુધીનો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK