મૃત્યુ પછી પણ સુશાંતની એક્સ મેનેજર દિશા સલિયનનો ફોન એક્ટિવ હતો
સુશાંત સિંહ રાજપૂત અને દિશા સલિયન
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં સતત નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે તેની વચ્ચે એક્ટરની પૂર્વ મેનેજર દિશા સલિયન (Disha Salian) કેસમાં એક નવો ખુલાસો થયો છે. દિશાની કૉલ ડિટેલ્સથી ખ્યાલ આવે છે કે, તેના મોત બાદ પણ તેનો મોબાઈલ ફોન ઘણાં દિવસો સુધી એક્ટિવ હતો. આ કેસમાં પોલીસે કહ્યું હતું કે, કેટલાંક ડેટા લેવા માટે તેમણે જ દિશાનો ફોન ઓન કર્યો હતો.
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉએ દિશા સલિયનના મોબાઈલ કૉલના ડેટા રિપોર્ટને આધારે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, દિશાના મોત બાદ પણ તેના મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિશાનું મોત આઠ જૂને થયું હતું. ત્યારબાદ 9, 10, 15 તથા 17 જૂનના રોજ દિશાનો ફોન એક્ટિવ થયો હતો. આ દરમિયાન ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ દરમિયાન અનેક ફોન કૉલ્સ પણ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ આ કેસમાં પોલીસે સ્પષ્ટતા આપતા આને પ્રોટોકૉલનો જ હિસ્સો ગણાવ્યો હતો. પોલીસના મતે, ડેટા કલેક્શન માટે ફોન ઓન કરવો જ પડે છે. આ દરમિયાન અનેક મેસેજ તથા ફોન પણ આવ્યા હતા પરંતુ સામેથી કોઈ રિપ્લાય આપવામાં આવ્યો નહોતો અને તપાસ માટે નોંધ કરવામાં આવી હતી. વધુમાં પોલીસે એમ કહ્યું હતું કે, ફોન ચાલુ થયા બાદ ઈન્ટરનેટ ઓટોમેટિક યુઝ થવા લાગ્યું હતું. જોકે, પોલીસના દાવાથી એકદમ અલગ દિશાનો CDR રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે, આઠ જૂન પછી દિશાના ફોનમાં જેટલું ઈન્ટરનેટ યુઝ થયું તે દિશાના સામાન્ય ઈન્ટરનેટ ઉપયોગથી વધુ હતું.
સામાન્ય રીતે આત્મહત્યાના કેસમાં પોલીસ મૃતકનો ફોન જપ્ત કરીને તરત જ ફોરેન્સિક તપાસ માટે મોકલે છે પરંતુ આ કેસમાં ઘણાં દિવસો સુધી આમ થયું નહીં અને અનેક દિવસો પછી ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, દિશા સલિયનનું મૃત્યુ 8 જૂનના રોજ મલાડ સ્થિત એક બિલ્ડિંગના 14મા માળેથી પડીને થયું હતું. તેની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નહોતી. ત્યારબાદ પોલીસે આ કેસને આત્મહત્યા ગણાવી હતી. તો એક અઠવાડિયા પછી એટલે કે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બન્નેના મૃત્યુ અંગે કંઈક કનેક્શન હોવાની આશંકા પ્રગટ કરવામાં આવી રહી છે.