રેમો ડિ'સોઝાઃ સરોજ ખાને તેમની બાયોપિક બનાવવા મારી પર વિશ્વાસ મુક્યો
રેમો ડિ'સોઝા, સરોજ ખાન
બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું દેહાંત 3 જુલાઇના રોજ થયું. તેમના મૃત્યુથી બૉલીવુડમાં એક યુગનો અંત આવ્યો છે. શાસ્ત્રી નૃત્યમાંથી પ્રેરણા લઇને બૉલીવુડન ડાન્સિંગને એક અલગ સ્તર પર મુકવાનો શ્રેય સરોજ ખાનને જ જાય છે. આપણે સૌએ સરોજ ખાનની કલાને સ્ક્રિન પર અનેક જાણીતા એક્ટર્સમાં જીવંત થતા જોઇ છે. સરોજ ખાન વિષે મિડ-ડે સાથે વાત કરતાં તેમની દીકરી સુકૈના નાગપાલે જણાવ્યું હતું કે જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિ’સૉઝા સાથે સરોજ ખાન તેમની જિંદગી પર ફિલ્મ બનાવવા અંગે ચર્ચા કરી રહ્યા હતા. સુકૈનાએ જણાવ્યા અનુસાર, “એકથી વધુ લોકો આ કામ કરવા માગતા હતા પણ તેઓ હંમેશા એમ કહેતા કે મારે વિષે લોકોને શું જાણવું હોય ભલા?” છતાં ય રેમો સાથેની છેલ્લી મિટીંગમાં તેઓ પોતાની વાત લોકો સુધી પહોંચાડવા તૈયાર થયા હતા અને તેનું કારણ એ હતું કે રેમો પોતે ડાન્સર છે એટલે તે સરોજ ખાનની વાત સારી પેઠે સમજી શકે. સરોજ ખાનને મતે રેમો તેમના જીવન પર ફિલ્મ બનાવવા માટે આદર્શ વ્યક્તિ હતા.
આ પણ વાંચો Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડસ ટચ, મન થશે ઠુમકવાનું
ADVERTISEMENT
રેમો એ આ અંગે કહ્યું કે, “કલંક ફિલ્મમાં તબાહ હો ગયે ગીતની કોરિયોગ્રાફી દરમિયાન મારી તેમની સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે, બોલ ક્યારે બનાવીશ મારી બાયોપિક? તારે જ મારી પર બાયોપિક બનાવવી જોઇએ. મેં તેમને વચન આપ્યું કે હું તેમને મળીશ અને તેમના બાળપણ વગેરે વિશે વિગતો મેળવી તેમની પર ફિલ્મ બનાવીશ. જો કે કામને કારણે હું તેમને ફરી આ માટે મળી ન શક્યો પણ માસ્ટરજી હવે નથી અને હું આ ફિલ્મ ચોક્કસ બનાવીશ કારણકે તેમણે મારી પર આ બાબતે વિશ્વાસ મુક્યો હતો.”
આ પહેલા હમ-તુમ ફિલ્મનાં ડાયરેક્ટર કુણાલ કોહલીએ પણ આ અંગે સરોજખાન સાથે વાત કરી હતી પણ કામ આગળ ન વધ્યું અને બાદમાં કોરિયોગ્રાફર બાબા યાદવે પણ સરોજ ખાનની જિંદગી પર વેબ-સિરીઝ બનાવવાની વાત કરી અનેછેલ્લે આ ચર્ચા રેમો ડિ’સુઝા સાથે થઇ હતી. રેમો ડિ’સુઝાએ પણ જીવનમાં બહુ સંઘર્ષ વેઠ્યો છે અને તેઓ સરોજ ખાનની જર્ની બહુ સારે પેઠે સમજી શકે તેમ છે એટલે પુરી શક્યતાઓ છે કે રેમો જ આ પ્રોજેક્ટનું સુકાન સંભાળે.
આ પણ વાંચો Saroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય તેવી તસવીરો
રેમોએ અન્ય એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં એમ કહ્યું છે કે તે જ્યારે પણ સરોજ ખાનની બાયોપિક બનાવશે તો તેમાં ત્રણ વર્ષનાં બાળપણથી શરૂ કરીને 71 વર્ષનાં સરોજજી સુધીની કથા વણશે અને તે જાણે છે કે આ કથા કહેવી બહુ અઘરી હશે. વળી રેમોએ કહ્યું છે કે કે તે એકથી વધુ એક્ટ્રેસને આ ફિલ્મમાં લેશે જેથી અલગ અલગ વયનાં સરોજ ખાન દર્શાવી શકાય.