અંગ્રેઝી મીડિયમ કેરળ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં ફરી કરાશે રિલીઝ
‘અંગ્રેઝી મીડિયમ’ને કેરળ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે. દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસના ભયને કારણે સિનેમા હૉલ્સને બંધ કરવામાં આવ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આ ત્રણ રાજ્યોમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં નથી આવી. અહીંનાં થિયેટર્સ ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યાં છે. ભીડ ન થાય એ માટે સ્કૂલો અને થિયેટર્સ પણ બંધ રાખવામાં આવ્યાં છે. લોકોને પણ કારણ વગર ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ગઈ કાલે રિલીઝ થયેલી પ્રોડ્યુસર દિનેશ વિજનની ‘અંગ્રેઝી મીડિયમ’માં ઇરફાન, રાધિકા મદન અને કરીના કપૂર ખાન જોવા મળી રહ્યાં છે. ફિલ્મ વિશે દિનેશ વિજને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘અંગ્રેઝી મીડિયમ’ એક જર્ની છે. એને હું આજીવન માણતો રહીશ. આ ફિલ્મ બનાવતી વખતે એક વાત જે હું શીખ્યો છું એ એ છે કે કોઈ પણ મુશ્કેલી કેમ ન આવે જો તમે કોઈ વસ્તુમાં દિલ અને આત્મા પૂરીને કામ કરો તો એનું ફળ ચોક્કસ મળે છે. આ ફિલ્મ ભારતમાં તો રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને દુબઈ અને ઇન્ટરનૅશનલ સ્તરે પણ પ્રેમ મળી રહ્યો છે. જોકે કોરોના વાઇરસને કારણે કેરળ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં આ ફિલ્મ રિલીઝ નહીં થાય. પહેલા દિવસથી અમારી ફિલ્મને પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. યોગ્ય સમયે અમારી ફિલ્મ આ સ્થાનો પર પણ રિલીઝ કરવામાં આવશે એની ખાતરી અમે આપીએ છીએ. ઇરફાને કહ્યું છે એમ અમારી રાહ જુઓ.’