તેનું કહેવું છે કે તેને પૈસા સારા મળતા હતા, પરંતુ કામ કર્યાની જે સંતુષ્ટિ હતી તે નહોતી મળતી.
ઉપાસના સિંહ
‘ધ કપિલ શર્મા શો’માં પોતાના રોલથી સંતુષ્ટિ ન મળતાં ઉપાસના સિંહે આ શો છોડી દીધો છે. તેનું એમ પણ કહેવું છે કે તેને પૈસા પણ સારા મળતા હતા, પરંતુ કામ કર્યાની જે સંતુષ્ટિ હતી તે નહોતી મળતી. તેણે પોતાની અભિનય પ્રતિભાથી ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે. જોકે તે તેના કૉમિક ટાઇમિંગ માટે તે વધુ લોકપ્રિય પણ છે. તે ‘ધ કપિલ શર્મા શો’માં પણ કૉમેડી કરતી હતી, પરંતુ લગભગ બે વર્ષ આ શોમાં પર્ફોર્મ કર્યા બાદ તેણે શો છોડી દીધો છે. હવે તે પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવી રહી છે. સાથે જ તેણે જણાવ્યું કે પૈસા ઓછા મળવાને કારણે તેણે શો છોડ્યો હતો એવું નથી, પરંતુ તે ક્રીએટિવલી સંતુષ્ટ નહોતી એથી તેણે શો છોડ્યો હતો. એ વિશે ઉપાસના સિંહે કહ્યું કે ‘પૈસા એક હદ સુધી અગત્યના હોય છે, પરંતુ એક તબક્કે તમારા કામથી તમને સંતોષ મળે એ વધુ અગત્યનું હોય છે. હું માત્ર એવા જ રોલ કરવા માગતી હતી જેનાથી મને સારું લાગે. હું હંમેશાં પ્રોડ્યુસર્સને કહેતી હતી કે મને એવા રોલ આપો જે અન્ય કોઈ ન કરી શકતા હોય. જેમ કે હું ‘ધ કપિલ શર્મા શો’ કરતી હતી, જે લગભગ બેથી અઢી વર્ષ સુધી ટોચ પર રહ્યો હતો. પછી એક સમય એવો આવ્યો જ્યારે મારે એમાં કાંઈ કરવાનું નહોતું રહ્યું. મને સારા પૈસા મળી રહ્યા હતા. મેં કપિલને કહ્યું કે મારે અહીં કરવાનું કંઈ નથી, મને શોની શરૂઆતમાં મેં જે રોલ કર્યો હતો એવો કંઈક રોલ આપો, કારણ કે મને એ ખૂબ જ આનંદ આપતો હતો. ‘ઇસમેં મઝા નહીં આ રહા હૈ.’ આ જ કારણ છે કે મેં શો છોડી દીધો. ‘પૈસા નહીં, પૈસા બહુત અચ્છે દે રહે થે ક્યૂં કિ હમારા શો બહુત હિટ થા.’ આમ છતાં હું ત્યાંથી નીકળી ગઈ, કારણ કે મને સંતોષ ન થયો. કપિલ અને હું ઘણાં સારાં મિત્રો છીએ અને અમે હજી પણ સંપર્કમાં રહીએ છીએ. અમે જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે હું તેને એમ જ કહું છું કે જ્યારે કંઈક સારું પાત્ર કરવાનું હોય ત્યારે જ મને પાછી બોલાવો.’