યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહે ફોન પર કૉમેડિયનની તબિયતના સમાચાર લીધા, મદદનું આપ્યું આશ્વાસન
Health Updates
ફાઇલ તસવીર
૫૮ વર્ષીય કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)ને બુધવારે જીમમાં વર્કઆઉટ કરતા સમયે હૃદયરોગનો હુમલો આવતા દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજૂક હોવાના અહેવાલ છે. અહેવાલ અનુસાર, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) રાજૂ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવ (Shikha Srivastava) સાથે ફોન પર વાત કરી અને તેની તબિયત વિશે પૂછપરછ કરી હતી. તેમજ મદદનું આશ્વાસન આપ્યું છે.
રાજૂ શ્રીવાસ્તવ બુધવારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા.. આ દરમિયાન ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને છાતીમાં ભારે દુખાવો થયો અને તેઓ જમીન પર પડી ગયા હતા. જિમ ટ્રેનર તેમને ઉતાવળમાં હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ હાર્ટ એટેકની પુષ્ટિ કરી હતી.
ADVERTISEMENT
હૉસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોએ માહિતી આપી છે કે, કૉમેડિયનની હાલત નાજુક છે. તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના એક ભાગમાં ૧૦૦ ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. તેમની હાલતને જોતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હજી સુધી તેમની હાલત ગંભીર છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે તેમની પત્નીને ફોન કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ રાજૂ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે એક ટ્વીટ દ્વારા કહ્યું છે કે, તેઓ એઇમ્સના ડૉક્ટરોના સંપર્કમાં છે.
सुप्रसिद्ध हास्य कलाकार, राजू श्रीवास्तव जी का कुशल क्षेम जानने के लिए AIIMS के निदेशक, डा. गुलेरिया से फ़ोन पर बात की। उनकी पत्नी से भी बात करके उन्हें ढाँढस बँधाया। मैं ईश्वर से राजू श्रीवास्तव के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूँ।
— Rajnath Singh (@rajnathsingh) August 11, 2022
રાજૂના પીઆરઓ ગરવિત નારંગે એક વાતચીતમાં જણાવ્યું છે કે, કૉમેડિયનનું મગજ રિસપોન્ડ કરતું નથી. તેમની પલ્સ ૬૦-૬૫ ચાલી રહી છે.
રાજૂ શ્રીવાસ્તવ દેશના સૌથી સફળ સ્ટેન્ડ-અપ કૉમેડિયનમાંના એક અને ટેલિવિઝનના નાના પડદાના જાણીતા સ્ટાર છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ છે. સ્ટેન્ડ-અપ કૉમેડી શો "ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ"ની પ્રથમ સીઝનમાં ભાગ લીધા પછી ઓળખ મળી હતી.
કૉમેડિયન ૧૯૮૦ના દાયકાથી મનોરંજન ક્ષેત્રે સક્રિય છે. સ્ટેન્ડઅપ કૉમેડિયન હોવા ઉપરાંત, તે એક ફિલ્મ કલાકાર પણ છે અને રાજૂએ `મૈંને પ્યાર કિયા`, `બાઝીગર`, `જર્ની બોમ્બે ટુ ગોવા` અને `બિગ બ્રધર` જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
રાજૂ શ્રીવાસ્તવે વર્ષ ૨૦૧૪માં સમાજવાદી પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો અને કાનપુરથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ લીધી હતી. જોકે, માર્ચ ૨૦૧૪માં, તેમણે પાર્ટીના સ્થાનિક એકમના સમર્થનના અભાવને ટાંકીને ટિકિટ પરત કરી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.