‘રાધાકૃષ્ણ’એ ૭૦૦ એપિસોડ પૂરા કરતાં લીડ ઍક્ટર સુમેધ મુદ્ગલકરે ચાહકોનો આભાર માન્યો
‘રાધાકૃષ્ણ’નું પોસ્ટર
૨૦૧૮માં લૉન્ચ થયેલા સ્ટાર ભારતના માઇથોલૉજિકલ શો ‘રાધાકૃષ્ણ’ની લોકપ્રિયતા આજ પર્યંત અકબંધ છે. રાધા અને કૃષ્ણના અજાણ્યા કિસ્સા રજૂ કરતા આ શોએ તાજેતરમાં ૭૦૦ એપિસોડ પૂરા કરીને નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. સિદ્ધાર્થ કુમાર તિવારી નિર્મિત આ શોમાં સુમેધ મુદ્ગલકર અને મલ્લિકા સિંહ લીડ રોલમાં છે. શોમાં છેલ્લે હનુમાનનો ટ્રૅક જોવા મળ્યો હતો જેમાં ઍક્ટર તરુણ ખન્નાએ હનુમાનનું પાત્ર ભજવ્યું હતું તો વર્તમાન ટ્રૅક અલક્ષ્મી દેવી પર કેન્દ્રિત છે. શ્રીકૃષ્ણ અને રાધાનું પાત્ર ભજવતાં સુમેધ મુદ્ગલકર અને મલ્લિકા સિંહે શોની સફળતા માટે ચાહકોનો આભાર માન્યો છે. શોની ટીમે તાજેતરમાં ૭૦૦ એપિસોડ પૂરા થયાનું સેલિબ્રેશન કર્યું હતું.
સુમેધ મુદ્ગલકરે જણાવ્યું હતું કે ‘હું બહુ નસીબદાર છું કે મને સિદ્ધાર્થ કુમાર તિવારીના શો ‘રાધાકૃષ્ણ’માં કૃષ્ણનો રોલ ભજવવાનો મોકો મળ્યો. મારું માનવું છે કે આ સફળતા ચાહકો, મિત્રો, પરિવાર અને ઇન્ડસ્ટ્રીના સાથીદારોના સપોર્ટનું પરિણામ છે. આ શો સાથે જોડાયેલ દરેક વ્યક્તિ માટે આ ગર્વની લાગણી છે.’