અગાઉ પણ કરણ આ શોને ગંદો અને અપમાનજનક કહી ચૂક્યો છે.
કરણ પટેલ
‘કસૌટી ઝિંદગી કી’માં રિષભ બજાજના રોલમાં જોવા મળેલા કરણ પટેલે ફરી એક વખત ‘બિગ બૉસ’ને લઈને નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે આ શો કોઈની કરીઅર નથી બનાવતો. શોમાંથી બહાર નીકળીને સેલિબ્રિટીઝને ફરીથી પોતાની કરીઅરની શરૂઆત કરવી પડે છે. અગાઉ પણ કરણ આ શોને ગંદો અને અપમાનજનક કહી ચૂક્યો છે. તે ‘બિગ બૉસ 14’ અને ‘બિગ બૉસ 15’માં ગેસ્ટ તરીકે જોવા મળ્યો છે. હવે ફરીથી ‘બિગ બૉસ’ વિશે કરણ કહે છે, ‘મને નથી લાગતું કે આ શો તમારી કરીઅર બનાવી કે તોડી શકે છે. જે લોકો ‘બિગ બૉસ’માંથી બહાર નીકળે છે તેમને ફરીથી ત્યાંથી જ કરીઅરની શરૂઆત કરવી પડે છે જ્યાંથી તેમણે શોમાં ભાગ લીધો હોય છે. ઉદાહરણ તરીકે મારા ફ્રેન્ડ અલી ગોનીને યશરાજ ફિલ્મ્સે હજી સુધી સાઇન નથી કર્યો. તેઓ આજે પણ ત્યાં જ છે જ્યાં હતા. તમે જાતે જ તમારી કરીઅર ઘડી શકો છો અને તોડી શકો છો. જો સલમાન ખાન એમ કહે કે તમને ઘણુંબધું કામ મળવું જોઈએ તો એનો અર્થ એમ નથી કે તમને ફિલ્મો મળવા માંડે. આ તો તેમની ઉદારતા છે કે તમે ગમો છો, પરંતુ એને કારણે તમને ઑફર્સ નહીં આવવા લાગે.’