એકતા કપૂરની કમેન્ટના જવાબમાં કાર્તિક આર્યને લખ્યું, ‘ઘરબેઠાં બેઠા ‘કુમકુમ ભાગ્ય’ જોઈ રહ્યો છું અને સાજોમાજો થઈ રહ્યો છું’
કાર્તિક આર્યન
ઝીટીવી પર હાલમાં ચાલી રહેલા શો ‘કુમકુમ ભાગ્ય’માં અભિનું પાત્ર, જે ઍક્ટર શબીર અહલુવાલિયા ભજવી રહ્યો છે તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે અને નાના બાળક જેવું વર્તન કરી રહ્યો છે. ઍક્ટ્રેસ સૃતિ ઝાનું કૅરૅક્ટર પ્રજ્ઞા તેને સાચવવાનો પ્રયત્ન કરી રહી છે. તે મેહરા હાઉસમાં મેઇડ બનીને આવી છે અને પોતાના પતિના ઇલાજમાં મદદ કરી રહી છે. બીજી બાજુ આસ્થાના પાત્રમાં જાણીતી ઍક્ટ્રેસ રિદ્ધિ ડોગરા છે એ પાત્ર પણ ખાસું રસપ્રદ છે.
આ રસપ્રદ વળાંક અને ડ્રામાસભર શો ‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘લવ આજકલ’ ફેમ સ્ટાર કાર્તિક આર્યનને પસંદ પડી રહ્યો છે. તે પાછલા દિવસોમાં કોરોના-સંક્રમિત થયો હતો. જોકે ગઈ કાલે ન્યુઝ મળ્યા કે હવે તે કોરોના-નેગેટિવ છે, પરંતુ તે જ્યારે કોરોના-પૉઝિટિવ હતો અને ક્વૉરન્ટીન હતો ત્યારે ‘કુમકુમ ભાગ્ય’ જોતો હતો. વાત એમ છે કે ક્વૉરન્ટીન દરમ્યાન કાર્તિકે કરેલી એક પોસ્ટ પર એકતા કપૂરે ‘ગેટ વેલ સૂન’ની કમેન્ટ કરી હતી. એકતા અને કાર્તિક સારા મિત્રો છે. તો એકતાની કમેન્ટના જવાબમાં કાર્તિક આર્યને લખ્યું હતું, ‘ઘરે બેઠાં-બેઠાં ‘કુમકુમ ભાગ્ય’ જોઈ રહ્યો છું અને સાજોમાજો થઈ
રહ્યો છું.’