કાનૂની નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સિખ ધર્મમાં તમાકુ અને ધૂમ્રપાન પર કડક પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં ફિલ્મમાં આ પ્રકારનું દૃશ્ય દર્શાવવું માત્ર ધાર્મિક રીતે અસંવેદનશીલ નથી, સમગ્ર સિખ સમુદાયની આસ્થાનું અપમાન પણ ગણાઈ શકે છે.
રણવીર સિંહ
‘ધુરંધર : ધ રિવેન્જ’ રિલીઝ પહેલાં વિવાદોમાં ઘેરાતી દેખાઈ રહી છે. આ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને એ પહેલાં ૧૮ માર્ચે ફિલ્મના પેઇડ પ્રિવ્યુ પણ રાખવામાં આવ્યા છે. તાજેતરમાં સામે આવેલી માહિતી મુજબ ફિલ્મ સામે સિખ સમુદાયના કેટલાક સભ્યોએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. આ કારણે ફિલ્મના નિર્માતાઓ અને સંબંધિત પક્ષોને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
આ નોટિસમાં જણાવાયું છે કે ફિલ્મનાં કેટલાંક દૃશ્યો અને પ્રમોશનલ સામગ્રીમાં એક સિખ સરદારને ધૂમ્રપાન કરતો બતાવવામાં આવ્યો છે. સિખ ધર્મની પરંપરાઓ મુજબ આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય માનવામાં આવે છે, જેના કારણે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું કહેવામાં આવ્યું છે. કાનૂની નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સિખ ધર્મમાં તમાકુ અને ધૂમ્રપાન પર કડક પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં ફિલ્મમાં આ પ્રકારનું દૃશ્ય દર્શાવવું માત્ર ધાર્મિક રીતે અસંવેદનશીલ નથી, સમગ્ર સિખ સમુદાયની આસ્થાનું અપમાન પણ ગણાઈ શકે છે.
ADVERTISEMENT
નોટિસ મોકલનાર પક્ષે ડિમાન્ડ કરી છે કે ફિલ્મમાંથી સિખ સરદારને ધૂમ્રપાન કરતો બતાવતાં તમામ દૃશ્યો તાત્કાલિક દૂર કરવામાં આવે. આ સિવાય ફિલ્મ સાથે જોડાયેલાં પોસ્ટર, ટ્રેલર અને અન્ય પ્રચારસામગ્રીમાંથી પણ આવાં દૃશ્યો કાઢી નાખવામાં આવે. આ ઉપરાંત ફિલ્મના નિર્માતાઓને સિખ સમુદાય પાસે જાહેર રીતે માફી માગવાની પણ અપીલ કરવામાં આવી છે જેથી ધાર્મિક ભાવનાઓને થયેલા આઘાતની ભરપાઈ થઈ શકે. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે નક્કી કરાયેલા સમયગાળા અંદર આ માગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો નિર્માતાઓ અને સંબંધિત પક્ષો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
