પાનીપતના પ્રોટેસ્ટને લીધે જયપુરનાં થિયેટર્સમાં સ્ક્રીનિંગ બંધ
આશુતોષ ગોવારીકરની ‘પાનીપત’ની વિરોધમાં ઉઠેલા આંદોલનને ધ્યાનમાં રાખતાં જયપુરનાં થિયેટર્સમાં ફિલ્મની સ્ક્રીનીંગ અટકાવવામાં આવી હતી. ૬ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં અર્જુન કપૂર સદાશીવરાવ ભાઉનાં પાત્રમાં, સંજય દત્ત અફઘાન કિંગ અહમદ શાહ અબ્દાલીની ભૂમિકામાં અને ક્રિતી સૅનન પાર્વતી બાઈની ભૂમિકામાં જોવા મળી છે. જાટ ગ્રુપ્સ, પ્રધાનો અને કેટલાક નેતાઓનું માનવુ છે કે ફિલ્મમાં ભરતપુરનાં મહારાજા સૂરજમલની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારે પણ આ દિશામાં ફિલ્મનાં પ્રોડ્યુસર્સ પાસે જવાબ માગ્યો છે. ફિલ્મની વિરુદ્ધ ચાલી રહેલા દેખાવને જોતા કેટલાક થિયેટર્સે ફિલ્મનાં શો કૅન્સલ કર્યા છે. રાજસ્થાન ફિલ્મ ટ્રેડ એન્ડ પ્રમોશન કાઉન્સિલનાં જનરલ સેક્રેટરી રાજ બંસલનું કહેવુ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને એક સમિતી નિમવી જોઈએ જે ફિલ્મની સ્ક્રિપ્ટ અને કન્ટેન્ટને સેન્સર બૉર્ડ પાસે મોકલતા પહેલા એની તપાસ કરે. આ સંદર્ભે તેઓ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ પ્રધાનને પત્ર લખી આ દિશામાં ધ્યાન દોરવા કહેશે કેમ કે આ અગાઉ ‘પદ્માવત’ને લઈને ઉઠેલા વિરોધ પ્રદર્શનને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થયુ હતું.