કિકુ શારદાએ જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થાનોની ઊર્જાએ મને અદ્ભુત શાંતિ અને સકારાત્મકતા આપી
અયોધ્યાની આધ્યાત્મિક યાત્રા કરી કિકુ શારદાએ
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરતા કૉમેડિયન કિકુ શારદાએ મહાશિવરાત્રિના પાવન અવસરે અયોધ્યાની આધ્યાત્મિક યાત્રા કરીને રામમંદિર અને હનુમાનગઢી મંદિરનાં દર્શન કર્યાં. કિકુ શારદાએ જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થાનોની ઊર્જાએ મને અદ્ભુત શાંતિ અને સકારાત્મકતા આપી. પોતાની પત્ની સાથેની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને તેણે જણાવ્યું કે ‘અયોધ્યાના રામમંદિરની મુલાકાત તેના માટે આસ્થા, ભાવનાઓ અને ઊંડા આધ્યાત્મિક જોડાણનો અનુભવ રહી. મંદિરની ભવ્યતા, સુંદર નકશીકામ અને દિવ્ય આભાએ મને મંત્રમુગ્ધ કરી દીધો. રામ લલા સમક્ષ ઊભા રહીને મેં કૃતજ્ઞતા, આશા અને સમર્પણની ભાવના અનુભવી. રામમંદિર પછી અમે હનુમાનગઢીની પવિત્ર સીડીઓ પર ચઢ્યા જ્યાં મને ઊર્જા, શક્તિ અને સુરક્ષાનો અનુભવ થયો. ભગવાન હનુમાનનું મંદિર શક્તિશાળી હોવા છતાં અત્યંત શાંત લાગ્યું. ઉપરથી દેખાતું અયોધ્યાનું મનોહર દૃશ્ય મારી યાત્રાને વધુ યાદગાર બનાવી ગયું.’


