અલગ પાત્ર ભજવવા મળે તો હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું : રાજકુમાર રાવ
રાજકુમાર રાવ
રાજકુમાર રાવનું કહેવું છે કે વિવિધ પાત્રો ભજવવાં તેને ખૂબ જ પસંદ છે. બૉલીવુડની પોતાની જર્ની વિશે તેણે જણાવ્યું હતું કે તે જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે કોઈ બૅકગ્રાઉન્ડ કે સપોર્ટ પણ નહોતો. તેણે અથાક સ્ટ્રગલ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામના મેળવી છે. તેની ‘બરેલી કી બર્ફી’, ‘ઓમેર્ટા’ અને ‘સ્ત્રી’ને લઈને ખૂબ પ્રશંસા થઈ હતી. બૉલીવુડમાં આવવાનો અનુભવ જણાવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મારી જર્ની ખૂબ જ સારી રહી છે. આટલી પ્રસિદ્ધિ મેળવીશ એવી આશા નહોતી. હું હંમેશાં કામ તો કરવા માગતો જ હતો. આ જ કારણ છે કે મેં વધુ સમય સુધી ભરપૂર ટ્રેઇનિંગ લીધી હતી. આ શહેરમાં આવ્યો ત્યારે મારું કોઈ બૅકગ્રાઉન્ડ કે સપોર્ટ પણ નહોતો. મારી પાસે ખૂબ ઓછા પૈસા હતા. ત્યાંથી લઈને અહીં સુધી હું પહોંચ્યો છું એ મારા માટે એક સપના સમાન છે. જોકે હું એક જગ્યાએ બેસી નથી જતો અને એના વિશે વિચારવામાં સમય પસાર નથી કરતો.’
પોતે દરેક ક્ષણમાં જીવવા માગે છે એ વિશે રાજકુમારે કહ્યું હતું કે ‘હું દરરોજને માણું છું એથી દરેક ક્ષણમાં જીવું છું. મને ઍક્ટિંગ કરવી ગમે છે અને અલગ-અલગ પાત્રો ઑન-સ્ક્રીન ભજવવાં ગમે છે. જો એવું થાય તો હું અતિશય ખુશ થાઉં છું.’