ગોવિંદા અને તેના દીકરા યશવર્ધને ભારે વરસાદ વચ્ચે દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું પરંપરાગત રીતે વિસર્જન કર્યું. લાલ કુર્તામાં બન્ને મૂર્તિને વિસર્જન સ્થળ સુધી લઈ ગયા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.
ગોવિંદા
ગોવિંદાના પરિવારમાં વર્ષોથી દોઢ દિવસના ગણપતિ બાપ્પા રાખવાની પરંપરા છે. આ પરંપરા ગોવિંદાની મમ્મીના સમયથી ચાલી આવે છે. ગોવિંદા અને તેના દીકરા યશવર્ધને મંગળવારે સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરીને પરંપરાગત રીતે તેમને વિદાય આપી હતી. વિસર્જનના વિડિયો અને તસવીરોમાં ગોવિંદા અને યશવર્ધન પરંપરાગત લાલ કુર્તામાં જોવા મળ્યા હતા. ભારે વરસાદ વચ્ચે પણ બન્ને ભીડમાંથી પસાર થઈને ગણપતિ બાપ્પાની મૂર્તિને વિસર્જનસ્થળ સુધી લઈ જતા જોવા મળ્યા હતા. આ દરમ્યાનન ગોવિંદા સમગ્ર સમય ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. આ વિસર્જન વખતે સતત વરસાદ પડી રહ્યો હતો, પણ એની અસર તેના ઉત્સાહ પર જોવા મળી નહોતી.
