ફરાહ ખાન અલીએ ખુલાસો કર્યો કે મારી બહેનને આવી કોઈ રકમની જરૂર જ નહોતી, પરિવારમાં દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખૂબ હોબાળો થયો હતો. લોકો તેમની અંગત જિંદગી વિશે અનેક પ્રકારના અભિપ્રાયો આપી રહ્યા હતા...
સુઝૅન ખાનને ડિવૉર્સ પછી હૃતિક રોશન પાસેથી નથી મળી ૪૦૦ કરોડ રૂપિયાની ઍલિમની
હૃતિક રોશન અને સુઝૅન ખાનના ૨૦૧૪માં થયેલા છૂટાછેડા દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. બન્નેનું લગ્નજીવન ૧૫ વર્ષથી વધુ ચાલ્યું હતું અને તેમને બે દીકરાઓ પણ છે. જોકે તેમના અલગ થવાના સમાચાર અને કોર્ટ-કેસ દરમ્યાન એવા રિપોર્ટ હતા કે સુઝૅને ડિવૉર્સ માટે હૃતિક પાસેથી ભરણપોષણ તરીકે ૪૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. હવે સુઝૅનની બહેન અને જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલીએ આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે સુઝૅનને આવી કોઈ રકમની જરૂર જ નહોતી.
હૃતિક અને સુઝૅનના છૂટાછેડાના નિર્ણયની પરિવાર પર થયેલી અસર વિશે વાત કરતાં ફરાહે કહ્યું હતું કે ‘પરિવારમાં દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખૂબ હોબાળો થયો હતો. લોકો તેમની અંગત જિંદગી વિશે અનેક પ્રકારના અભિપ્રાયો આપી રહ્યા હતા, પણ મને લાગે છે કે બન્નેએ આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી હતી. આ બધું પરસ્પર સંમતિથી થયું હતું. આ મામલે હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે સુઝૅનને ૪૦૦ કરોડ રૂપિયાની ઍલિમની ક્યારેય આપવામાં આવી નહોતી. જ્યારે હું ઑનલાઇન વાંચું છું કે ૪૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને સુઝૅન વધુ અમીર બની ગઈ ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. આ સંપૂર્ણપણે ખોટી વાત છે. મારી બહેને કંઈ પણ લીધું નથી. અમે એવા પરિવાર અને એવી મમ્મીનાં સંતાનો છીએ જેમણે અમને શીખવ્યું છે કે ભૌતિક વસ્તુઓ સૌથી મહત્ત્પૂર્ણ નથી, સંબંધો વધુ મહત્ત્વના છે. તેથી મારી બહેને કંઈ પણ લીધું નથી. એટલા માટે આજે પણ હૃતિક રોશન તેમ જ ભૂતપૂર્વ સાસુ પિન્કી રોશન અને ભૂતપૂર્વ સસરા રાકેશ રોશન સાથેના તેના ખૂબ જ સારા સંબંધો છે. તેઓ આજે પણ સુઝૅનને ખૂબ પ્રેમ કરે છે.’
