રામાયણ સિરિયલમાં ભગવાન શ્રી રામનો રોલ ભજવીને ભારે લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલે પોતાનો મત વ્યક્ત કર્યો, રણબીર કપૂર આ દિવસોમાં નિર્દેશક નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ભારે ચર્ચામાં છે.
રણબીર કપૂર બહુ સંસ્કારી છે અને તે બહુ સારો રામ સાબિત થશે
રણબીર કપૂર આ દિવસોમાં નિર્દેશક નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ભારે ચર્ચામાં છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં મોટી અપેક્ષાઓ પણ છે. હાલમાં ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ રણબીર કપૂરની સ્ક્રીન-પ્રેઝન્સ વિશે આખા દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને એને મિક્સ ફીડબૅક મળ્યો છે. હવે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં રામનો રોલ ભજવીને ભારે લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલે જાહેરમાં રણબીર કપૂરની પ્રશંસા કરી છે.
રણબીર વિશેની પોતાની લાગણી વ્યક્ત કરતાં અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘રણબીર ખૂબ સારો ઍક્ટર છે. તે ખૂબ મહેનત કરે છે અને ખૂબ સંસ્કારી છે. મેં ઘણી વખત જોયું છે કે તેનામાં નૈતિક મૂલ્યોની સારી સમજ છે. એથી મને વિશ્વાસ છે કે તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે. રણબીરનાં મજબૂત મૂલ્યો અને પ્રતિબદ્ધતા તેને આ પાત્ર સાથે ન્યાય કરવા મદદ કરશે.’
