હાલમાં અરિજિત પોતાના આઠ વર્ષના એક બીમાર ફૅનની ઇચ્છા પૂરી કરવા કલકત્તાની એક હૉસ્પિટલમાં પહોંચ્યો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અરિજિત સિંહે પોતાનાં ગીતો દ્વારા લાખો ચાહકોનાં દિલ જીત્યાં છે. અરિજિત પોતાના સાદગીભર્યા અને સંવેદનશીલ સ્વભાવ માટે જાણીતો છે. હાલમાં અરિજિત પોતાના આઠ વર્ષના એક બીમાર ફૅનની ઇચ્છા પૂરી કરવા કલકત્તાની એક હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. શરૂઆતમાં ત્યાં હાજર લોકોનું માનવું હતું કે અરિજિત પોતાની તપાસ અથવા સારવાર માટે આવ્યો હશે પણ પછી જાણવા મળ્યું કે તે ખાસ પોતાના એક બીમાર ચાહકને મળવા પહોંચ્યો હતો.
આઠ વર્ષનો આ બાળક છેલ્લા કેટલાક દિવસોથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની બીમારી દરમિયાન અરિજિતનાં ગીતો જ તેનો સૌથી મોટો સહારો બન્યાં હતાં. આ બાળકના ચહેરા પર સ્મિત લાવવા અને તેનું મનોબળ વધારવા માટે અરિજિત કોઈ પણ આગોતરી સૂચના વિના હૉસ્પિટલ પહોંચ્યો હતો અને કોઈ ઔપચારિકતા વગર સીધા વૉર્ડમાં જઈને બાળકના બેડ પાસે બેસીને તેની સાથે વાતચીત કરી, તેની તબિયત વિશે પૂછપરછ કરી અને તેનો હાથ પકડીને તેને હિંમત આપી. આ બાળકની લાંબા સમયથી રહેલી ઇચ્છા પૂરી કરતાં અરિજિતે તેની સાથે અનેક તસવીરો પણ ક્લિક કરાવી હતી.
