Anand Pandit on Corporatisation of Cinema: આર્થિક ઉદારીકરણ બાદ ભારતીય સિનેમામાં મોટા ફેરફારો જોવા મળ્યા. વર્ષ 2001 આસપાસ ફિલ્મ ઉદ્યોગને સત્તાવાર રીતે “ઇન્ડસ્ટ્રી”નો દરજ્જો મળતા તેને ઔપચારિક નાણાકીય સહાય ઉપલબ્ધ થઈ અને ખાનગી ફંડિંગ પરની નિર્ભરતા ઘટી.
આનંદ પંડિત
આર્થિક ઉદારીકરણ બાદ 1990ના દાયકામાં ભારતીય સિનેમામાં મોટા ફેરફારો જોવા મળ્યા. વર્ષ 2001 આસપાસ ફિલ્મ ઉદ્યોગને સત્તાવાર રીતે “ઇન્ડસ્ટ્રી”નો દરજ્જો મળતા તેને ઔપચારિક નાણાકીય સહાય ઉપલબ્ધ થઈ અને ખાનગી ફંડિંગ પરની નિર્ભરતા ઘટી. ત્યારબાદ કોર્પોરેટ આધારિત પ્રોડક્શન મોડલ ઉદ્ભવ્યું, જેમાં સંસ્થાગત ફાઇનાન્સિંગ સાથે પ્રોફેશનલ મેનેજમેન્ટ અને સુવ્યવસ્થિત માર્કેટિંગ રણનીતિઓનો સમાવેશ થયો.
પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિત કહે છે, "સ્વતંત્ર નિર્માતાઓથી કોર્પોરેટ ગૃહો તરફનું પરિવર્તન સ્પષ્ટ હતું. વાર્તાઓ `કન્ટેન્ટ` બની અને ફિલ્મ નિર્માણના દરેક પાસામાં મહત્તમ આવક મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો."
ADVERTISEMENT
યશ ચોપરાની ફિલ્મ ‘ત્રિશૂલ’થી પ્રેરાઈને રિયલ એસ્ટેટ અને ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રે પોતાની ઓળખ ઉભી કરનાર આનંદ પંડિતે સ્ટુડિયો યુગથી લઈને મલ્ટિપ્લેક્સ અને કોર્પોરેટ સ્ટ્રક્ચર સુધીના પરિવર્તનો નજીકથી જોયા છે. તેઓ યાદ કરે છે, “એક સમય હતો જ્યારે મહબૂબ ખાન, રાજ કપૂર, ગુરુ દત્ત, દેવિકા રાણી, કમાલ અમરોહી, બિમલ રોય, વી. શાંતારામ અને બીઆર ચોપરા જેવા દિગ્ગજો પોતાના દ્રષ્ટિકોણ સાથે સ્ટુડિયો ચલાવતા. તેમની ફિલ્મોએ ભારતીય સિનેમાને અમર કૃતિઓ આપી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને વારસાગત પ્રોડક્શન હાઉસીસ કરતાં કોર્પોરેટ સંસ્થાઓ વધુ છે.”
તેમના મત મુજબ, કોર્પોરેટાઇઝેશન સમય, સંસાધનો અને નાણાંના સંચાલનમાં શિસ્ત લાવે છે. “આજના પ્રોડક્શન મોડલ વધુ પારદર્શક છે. રાઈટ્સ મેનેજમેન્ટ, કો-પ્રોડક્શન સ્ટ્રક્ચર અને નાણાકીય જવાબદારી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ભારતીય સિનેમા વધુ સુવ્યવસ્થિત અને વૈશ્વિક ધોરણો સાથે તાલમેલ બેસાડતી દિશામાં આગળ વધી રહ્યો છે,” તેઓ ઉમેરે છે.
પરંતુ સાથે જ તેઓ સર્જનાત્મક સ્વતંત્રતાનું મહત્વ પણ રેખાંકિત કરે છે. “સર્જનાત્મક ક્ષેત્રમાં સફળતા માટે શાર્પ બિઝનેસ નૉલેજ જરૂરી છે, પરંતુ માત્ર વ્યવસાયિક દૃષ્ટિકોણથી સફળતા મળતી નથી. દર્શકોને બોર્ડરૂમની ચર્ચા કે શિસ્તમાં રસ નથી; તેઓને એવી વાર્તાઓ જોઈએ છે જે તેમને સ્પર્શે, મનોરંજન આપે અને વિચારવા પ્રેરિત કરે. બેલેન્સ શીટ દર્શકો માટે મહત્વની નથી, ભાવનાત્મક જોડાણ મહત્વનું છે.”
આનંદ પંડિત અંતમાં કહે છે કે, “કોર્પોરેટાઇઝેશન ફિલ્મ ઉદ્યોગ માટે આવશ્યક અને સકારાત્મક વિકાસ છે, જે વૈશ્વિક સ્પર્ધા માટે જરૂરી છે. પરંતુ અતિશય કઠોરતા સર્જનાત્મક આત્માને અસર ન કરે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. કલાત્મક સ્વતંત્રતા અને વ્યાવસાયિકતા વચ્ચેનું સંતુલન જ સિનેમાની સાચી શક્તિ છે.”


