અક્ષય ખન્ના ‘મહાકાલી’માં અસુર ગુરુ શુક્રાચાર્યનું પાત્ર ભજવશે
`મહાકાલી`ના સેટ પર અક્ષય ખન્ના
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ જબરદસ્ત કમબૅક કર્યું છે. ફિલ્મમાં તેણે રહમાન ડકૈતનું પાત્ર ભજવીને રણવીર સિંહના પાત્રને પણ ઝાંખું પાડી દીધું હતું. અક્ષય ખન્ના ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો હોવાને કારણે હવે તેના ફૅન્સ આતુરતાથી તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે અક્ષય ખન્ના દક્ષિણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાનો છે અને તે તેલુગુ ફિલ્મ ‘મહાકાલી’માં જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત ‘ધુરંધર’ પહેલાં જ થઈ ગઈ હતી.
અક્ષય ખન્ના ‘મહાકાલી’માં અસુર ગુરુ શુક્રાચાર્યનું પાત્ર ભજવશે. હાલમાં તેની ૫૧મી વર્ષગાંઠ પર ફિલ્મના મેકર્સે શૂટિંગ-સેટની તસવીર શૅર કરીને તેને શુભેચ્છા આપી હતી ત્યારે ફિલ્મમાં તેનો લુક અને ટ્રાન્સફૉર્મેશન જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. પહેલાં તો પ્રશાંત વર્માની આ ફિલ્મ માત્ર તેલુગુ ભાષામાં રિલીઝ થવાની હતી, પરંતુ અક્ષય ખન્નાની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સે હવે એને હિન્દીમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મના હિન્દી વર્ઝનના માર્કેટિંગમાં ખાસ કરીને અક્ષય ખન્ના પર ફોકસ કરવામાં આવશે.
ADVERTISEMENT
ફિલ્મના નિર્માતા પ્રશાંત વર્માએ જણાવ્યું હતું કે અમે અક્ષયસરને ‘ધુરંધર’ પહેલાં જ સાઇન કરી લીધો હતો અને ‘મહાકાલી’માં તે સૌથી ખાસ છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય ખન્નાએ ‘મહાકાલી’નું પોતાનું શૂટિંગ પૂરું કરી લીધું છે. હજી ફિલ્મનું થોડું શૂટિંગ બાકી છે જેને પૂર્ણ થવામાં લગભગ ૪૦ દિવસ લાગશે. ત્યાર બાદ ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવશે.
