Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માત્ર ઈશ્વરકૃપા : જેમ તમે ખુશ્બૂ અનુભવી શકો, વર્ણવી ન શકો એવું જ પ્રમુખસ્વામીનગરનું છે

માત્ર ઈશ્વરકૃપા : જેમ તમે ખુશ્બૂ અનુભવી શકો, વર્ણવી ન શકો એવું જ પ્રમુખસ્વામીનગરનું છે

25 January, 2023 02:08 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

બ્રહ્મવિહારી સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીને મળવાનો મોકો મળ્યો અને તેમની સાથે સંવાદનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થયું

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ) સૌજન્ય મિડ-ડે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ) સૌજન્ય મિડ-ડે


પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ એ સમયે અનેક એવા લોકો હતા જેમની આંખોમાંથી ચોધાર આંસુ નીકળતાં હતાં. અનેક લોકો એવા હતા જેમને એ સ્થળ છોડીને જવું નહોતું તો અનેક એવા લોકો પણ હતા જેમના મનમાં વૈરાગ્યભાવ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. આ બધાની પાછળ હું તો કહીશ કે માત્ર અને માત્ર પ્રમુખસ્વામી મહારાજની અસીમ કૃપા છે. મહોત્સવ માત્ર આનંદ-પ્રમોદ પૂરતો સીમિત રહે એને બદલે આ આખા મહોત્સવને જે રીતે સંપ્રદાયે લોકસેવાના ભાવનો આકાર આપ્યો એ ખરેખર અદ્ભુત વાત હતી. સવા કરોડ લોકોએ મહોત્સવની મુલાકાત લીધી અને એ મુલાકાત દરમ્યાન આવેલા આ મુલાકાતીઓમાંથી લાખો લોકોએ બ્લડ-ડોનેશન કર્યું. સ્વામીનારાયણ સંપ્રદાયની સૌથી સમાજોપયોગી વાતો પૈકીની એક છે વ્યસનમુક્તિ.

વ્યસનમુક્તિ અભિયાન આ મહોત્સવ દરમ્યાન પણ ચાલુ રહ્યું અને લાખો લોકોએ પોતાનાં દશકાઓ જૂનાં વ્યસન પ્રમુખસ્વામીના જન્મ શતાબ્દી મહોત્સવમાં છોડ્યાં, તો મહિલા અને બાળ ટૅલન્ટ રજૂ કરતા અઢળક શો થયા અને લાઇટ-ઍન્ડ-સાઉન્ડના પણ ૧૦૦થી વધારે શો થયા, જેનો લાભ કરોડો લોકોએ લીધો. આ આંકડાકીય માહિતી હજી પણ લાંબી થાય જો તમે એને વિસ્તારપૂર્વક લખવાની જહેમત ઉઠાવો; પણ સાહેબ, એ બધામાં પડવું નથી, કારણ કે જ્યાં આસ્થાનો સાથ હોય છે ત્યાં શ્રદ્ધા બેસુમાર હોય છે અને આ જ શ્રદ્ધાએ આર્કિટેક્ટથી માંડીને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા અઢળક લોકોને સ્વયંસેવક બનાવવાનું કામ કર્યું અને એ લોકોએ સહજ રીતે પોતાનું બધું કામ છોડીને આ પ્રમુખસ્વામીનગરના રોજબરોજના વહીવટને સુગમ બનાવ્યો તો અનેક લોકો એવા પણ હતા જેમણે લાંબા સમયથી બધું છોડીને અહીંની તૈયારીમાં જોડાવાનું શરૂ કરી દીધું હતું.



આ પણ વાંચો :  બસ એક સ્માઇલઃ અજાણ્યા સામે સસ્નેહ સ્માઇલ કરવામાં આપણને થતો ખચકાટ શું સૂચવે છે?


બ્રહ્મવિહારી સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીને મળવાનો મોકો મળ્યો અને તેમની સાથે સંવાદનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થયું. એ જ દિવસે આ જ સ્થળે એક કૉન્ક્લેવ પણ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતનું ટૂરિઝમ મુખ્ય મુદ્દો હતો. મહત્ત્વના અને સર્વોચ્ચ કહેવાય એવા અનેક મહાનુભાવોએ એમાં ભાગ લીધો હતો. અધિકારીઓ પણ હતા અને એ અધિકારીઓ સાથે સ્વામી-ભગવંતો પણ હતા. કેવું કહેવાય, તમે ધર્મની સાથોસાથ તમારા રાજ્યને, તમારા રાષ્ટ્રને પણ સુદૃઢ બનાવવાના પ્રયાસ કરો. 

ખરેખર આ ધન્યતાની એ ચરમસીમા છે જેનો માત્ર સાક્ષાત્કાર જ થઈ શકે. એ કહેવા કે વર્ણવવા માટે તમારી પાસે શબ્દો નથી હોતા. એવી જ રીતે જેમ તમે ખુશ્બૂનો આનંદ વર્ણવી નથી શકતા. ખુશ્બૂને તમારે અંદર જ ભરવાની હોય છે. એ જે અનુભવ છે, એ જે અનુભૂતિ છે એ જ તમારો આનંદ અને એ જ્યારે પણ તમને યાદ આવે ત્યારે તમારા ચહેરા પર ખે સ્મિત પ્રસરી જાય એ તમારી ખુશી. પ્રમુખસ્વામી મહોત્સવ દરમ્યાન થયેલો આનંદ કંઈક એવો જ છે. આજે પણ એ દિવસ યાદ આવે ત્યારે રીતસર મનમાં ખુશી પ્રસરી જાય છે અને થાય છે કે જેમ મહોત્સવની ઉજવણી પણ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વિના શક્ય નહોતી એવી જ રીતે, ડિટ્ટો એવી જ રીતે, એ મહોત્સવમાં હાજર રહેવાની તક પણ તેમના આશીર્વાદ વિના શક્ય નહોતી. ખરેખર.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 02:08 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK