T20 વર્લ્ડ કપ પહેલાં ઇરફાન પઠાણે ઉઠાવ્યા ગંભીર સવાલ
હાર્દિક પંડ્યા , ઈરફાન પઠાણ
મુંબઈ ઇન્ડિયન્સ અને એના નવા કૅપ્ટન હાર્દિક પંડ્યાના ફૉર્મ પર સતત સવાલ ઊઠી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર ઇરફાન પઠાણે T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમના વાઇસ કૅપ્ટન હાર્દિક પંડ્યા વિશે નિવેદન આપીને તેને ભારતીય ટીમની નબળાઈ ગણાવી હતી. ઇરફાન પઠાણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હાર્દિક પંડ્યાની બૅટિંગ-ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો છે. બૉલને બાઉન્ડરી પાર કરવાની તેની ક્ષમતા પહેલાં જેવી દેખાતી નથી. ટીમ ઇન્ડિયાના દૃષ્ટિકોણથી આ સારો સંકેત નથી. હાર્દિક જ્યારે વાનખેડેમાં રમે છે ત્યારે તે અલગ જ દેખાય છે, પરંતુ એ પિચો પર જ્યાં બોલરો માટે ઓછો સપોર્ટ છે ત્યાં હાર્દિક સંઘર્ષ કરી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.’ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૮ મૅચમાં માત્ર ૧૫૧ રન બનાવ્યા છે. તેણે ૧૦.૯૪ની ઇકૉનૉમીથી માત્ર પાંચ વિકેટ ઝડપી છે. ૧ જૂનથી શરૂ થતા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે તેને વાઇસ કૅપ્ટન જાહેર કર્યો હતો.