૨૦૨૦ની પહેલી ટી૨૦ સિરીઝનો આજથી પ્રારંભ
પહેલી ટી૨૦ મૅચ પહેલાં બરસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફિઝિકલ ટ્રેઇનિંગ કરતી ટીમ ઇન્ડિયા. તસવીર : પી.ટી.આઇ.
૨૦૨૦ના વર્ષની પહેલી ટી૨૦ સિરીઝ આજથી ભારત-શ્રીલંકા વચ્ચે શરૂ થવાની છે. દરેક ફૉર્મેટમાં ફૉર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયાનો કૉન્ફિડન્સ મજબૂત છે, જ્યારે પાછલી કેટલીક ટી૨૦ સિરીઝમાં ચડતી-પડતી સાથે પર્ફોર્મ કરી રહેલી શ્રીલંકન ટીમ આ સિરીઝ જીતીને નવા વર્ષની વિજયી શરૂઆત કરવાના પ્રયાસ કરશે.
ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાંની પહેલી મૅચ આજે ગુવાહાટીમાં રમાવાની છે જેમાં જસપ્રીત બુમરાહ અને શિખર ધવન ઈજા બાદ કમબૅક કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે લાંબા સમયથી તેમના કમબૅકની રાહ જોવાતી હતી અને મૅચમાં તેઓ કેવું પ્રદર્શન કરશે એના પર સૌકોઈની નજર હશે. વિરાટસેનાના મહત્ત્વના પ્લેયર રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.
સામા પક્ષે શ્રીલંકન ટીમ પાકિસ્તાનને ટી૨૦ સિરીઝમાં ક્લીન સ્વિપ આપવામાં સફળ રહી હતી, પણ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ ગુમાવી બેઠી હતી. લસિથ મલિન્ગાના નેતૃત્વમાં રમાનારી આ ટીમને અ!ન્જેલો મૅથ્યુઝ, ઇસુરુ ઉડાના, કુસલ મેન્ડીસ જેવા પ્લેયરોના અનુભવનો લાભ મળશે.
ઇન્ડિયા અને શ્રીલંકા અત્યાર સુધી ૧૬ ટી૨૦ મૅચ રમ્યાં છે જેમાંથી ૧૧ મૅચમાં ભારતનો વિજય થયો છે. વળી શ્રીલંકા સામે ટી-૨૦ સિરીઝ ન હારવાનો રેકોર્ડ બરકરાર રાખવા ટીમ ઇન્ડિયા રમશે એ વાત નક્કી.