રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભાવિને લઈને મતભેદો વચ્ચે અજિત આગરકરના ચીફ સિલેક્ટર તરીકેના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ચર્ચા છે કે તેમની જગ્યાએ ઝહીર ખાનને તક મળી શકે છે.
શ્રીલંકા સિરીઝ બાદ નક્કી થશે અજિત આગરકરનું ભાવિ
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભાવિને લઈને થયેલા વિવાદોને લીધે ચીફ સિલેક્ટર અજિત આગરકરની વિદાયની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહી છે. આવતા મહિને તેનો ત્રણ વર્ષનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે અને નિયમ પ્રમાણે તે હજુ એક વર્ષ સુધી આ પદ પર એક્સટેન્શન મેળવી શકે છે. જોકે ખાસ કરીને રોહિત શર્માના ભવિષ્યને લઈને આગરકર ક્રિકેટ બોર્ડના અધિકારીઓ કરતાં જુદો મત ધરાવતો હોવાથી તેનું વધુ એક વર્ષ સુધી ટકી રહેવું મુશ્કેલ હોવાની મનાઈ રહ્યું છે. આ વિશે સ્પષ્ટતા મેળવવા બોર્ડના અધિકારીઓ આગરકરને મળવાના છે. આ મીટિંગ શ્રીલંકન સીઝન બાદ જ ગોઠવાય એમ હોવાથી આગરકરનું ભાવિ હવે મોટા ભાગે ત્યારે જ નક્કી થશે.
તો ઝહીર ખાન બનશે ચીફ સિલેક્ટર
ADVERTISEMENT
ચર્ચાઓ પ્રમાણે ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને અજિત આગરકર સાથેની મીટિંગ સફળ ન રહી તો નવો ચીફ સિલેક્ટર ઝહીર ખાન બની શકે છે. આગરકરના રિપ્લેસમેન્ટ માટે બોર્ડની પ્રથમ પસંદગી વીવીએસ લક્ષ્મણ હતો, પણ બોર્ડ હવે તેને વધુ મહત્ત્વપૂર્ણ ક્રિકેટ ડાયરેક્ટરની જવાબદારી સોંપવા માગતું હોવાથી મુંબઈકર આગરકરની જગ્યાએ મુંબઈકર ઝહીર ખાનનો નંબર લાગી શકે છે.
