ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખેડૂતો અને આત્મહત્યાથી પ્રભાવિત પરિવારો માટેના નાના પાટેકરના સેવાકાર્યની પ્રશંસા કરી હતી. તેમણે શંકર મહાદેવનની પણ પ્રશંસા કરી હતી.
શુક્રવારે લખનઉના લોકભવનમાં ઉત્તર પ્રદેશ પોલીસના નવા થીમ-સૉન્ગ ખાકી કા સિતારાના લૉન્ચિંગ પ્રસંગે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને નાના પાટેકર.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાલમાં નાના પાટેકરના ખેડૂતો માટેના સેવાકાર્યની પ્રશંસા કરી હતી. તેમણે ખેડૂતોની આત્મહત્યાથી પ્રભાવિત પરિવારો અને ખેડૂતોની મદદ માટે નાના પાટેકરે કરેલા કામને બિરદાવ્યું હતું. આ ઉપરાંત મુખ્ય પ્રધાને ગાયક-સંગીતકાર શંકર મહાદેવનની પણ પ્રશંસા કરી હતી કારણ તેણે પોતાના અવાજથી ઉત્તર પ્રદેશ પોલીસના ગીત ‘ખાકી કા સિતારા’ને નવી ઓળખ આપી છે.
આ ગીતના લૉન્ચિંગ કાર્યક્રમમાં સંબોધન કરતાં યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો મોટા પ્રમાણમાં વધી રહ્યા હતા ત્યારે ખેડૂતોને મદદ કરવા માટે નાના પાટેકરે કરેલા પ્રયાસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘નાના પાટેકર માત્ર અભિનેતા નથી, તેઓ એટલા જ સંવેદનશીલ માણસ પણ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતો મોટા પાયે આત્મહત્યા કરવા લાગ્યા હતા ત્યારે એ ખેડૂતો તરફ મદદનો હાથ લંબાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નાના પાટેકર હતા. તેમનું કામ જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થયો હતો. નાના પાટેકરે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ કે દેખાડા વિના શાંતિથી આ કામ કર્યું હતું.’
