મધ્ય પ્રદેશના વિદિશામાં નવલસિંહ માલવીયે ૨૦ વર્ષ સુધી દીકરીની જેમ ઉછેરેલી બકરી ચમેલીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કર્યા. તેની અસ્થિઓ ગંગામાં વિસર્જિત કરી ૧૫ ઑગસ્ટે શ્રાદ્ધવિધિ અને મૃત્યુભોજનું પણ આયોજન કર્યું.
૨૦ વર્ષ સુધી બકરીને દીકરીની જેમ રાખી, મૃત્યુ પછી તેરમાની વિધિ કરી અને ગંગામાં અસ્થિ-વિસર્જન કર્યું
મધ્ય પ્રદેશના વિદિશામાં માણસો અને પ્રાણીઓ વચ્ચેના સંબંધોની અનોખી મિસાલ જોવા મળી હતી. નવલસિંહ માલવીય નામના ખેડૂતને ત્યાં વર્ષોથી એક બકરી રહેતી હતી. આ બકરીનું નામ હતું ચમેલી. એનું હુલામણું નામ હતું કટોરી. ૩ ઑગસ્ટે ૨૦ વર્ષની ઉંમરે બકરી મૃત્યુ પામી. નવલસિંહે આટલાં વર્ષો બકરીને પોતાની પ્રાણપ્યારી દીકરીની જેમ જ રાખેલી. તે હંમેશાં ઘરમાં પલંગ પર જ સૂતી હતી અને ઘરમાં પરિવારજનોની સાથે જ રહેતી હતી. નવલસિંહના પરિવારને જાણે ખાલીપો ઘેરી વળ્યો. તેમણે સ્થાનિક પ્રશાસનની પરવાનગી લઈને બકરીના અંતિમ સંસ્કાર કર્યા અને એનાં અસ્થિઓ એકત્ર કરીને ગંગામાં એનું વિસર્જન પણ કર્યું હતું. ૧૫ ઑગસ્ટે તેની શ્રાદ્ધકર્મની વિધિમાં લોકોને આવવા માટે બાકાયદા શોક-પત્ર જાહેર કરીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું. શોકસંદેશ આપીને સગાંવહાલાંઓ અને આસપાસના લોકોને મૃત્યુભોજ કરાવ્યું.
