પ્રશાસનનું કહેવું છે કે માત્ર નિયમ બનાવવાથી લોકોની વર્તણૂક નથી બદલાતી, તેમની આદતો બદલવા માટે ખાસ પગલાં લેવાં પડે છે.
આ નુસખાનાં અનેક લોકોએ વખાણ કર્યાં છે.
ભારતમાં ગમે ત્યાં દીવાલની આડશ મળી જતાં પુરુષો ખુલ્લામાં યુરિન પાસ કરતા જોવા મળી જાય છે. અહીં થૂંકવું નહીં કે પેશાબ કરવો નહીં એવી સૂચના પર લોકો બિન્દાસ પાનની પિચકારી મારતાં કે સુસુ કરતાં રોકાતા નથી. જોકે કર્ણાટકના મૈસૂરમાં આવી જાહેર જગ્યાઓએ લોકોને સુસુ કરતા રોકવા માટે પ્રશાસને અનોખો રસ્તો શોધી કાઢ્યો. બસ-સ્ટૅન્ડ પાસેના રોડની કિનારીએ પ્રશાસને દીવાલો પર સ્ટીલના અરીસા લગાવી દીધા છે. હવે અહીં કોઈ પણ વ્યક્તિ યુરિન પાસ કરવા દીવાલ પાસે જાય કે તરત જ તેને પોતાનું જ પ્રતિબંબ દેખાય છે. અરીસા જાયન્ટ હોવાથી પોતાને તો દેખાય જ, પણ આસપાસના લોકો પણ તેની આ ક્રિયાને જાહેરમાં જોઈ શકે છે. આ નુસખો દિવસે તો કામ લાગી જાય, પણ રાતના અંધારાનું શું? એ માટે પણ પ્રશાસને જુગાડ કર્યો હતો. સ્ટેનલેસ સ્ટીલની શીટ્સ જ્યાં જોડાય એ જગ્યાએ લાઇટિંગ પણ હતી. એને કારણે રાતે પણ આ અરીસા પાસે આવનાર વ્યક્તિનું પ્રતિબિંબ અરીસામાં ઝીલાય અને લોકોને દેખાય.
સોશ્યલ મીડિયા પર આ નવતર જુગાડ ખૂબ વાઇરલ થયો છે. ગમે ત્યાં પૅન્ટની ચેઇન ખોલીને દીવાલોને બગાડતા લોકોને સબક શીખવવા માટેના આ નુસખાનાં અનેક લોકોએ વખાણ કર્યાં છે. જોકે એમાં પણ વાંકદેખા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે આટલુંબધું કરવાને બદલે ત્યાં ખરેખર ટૉઇલેટ બનાવવાની જરૂર નથી લાગતી? જોકે આનો પણ મૈસૂરના પ્રશાસન પાસે જવાબ છે. બસ-સ્ટૅન્ડના વિસ્તારમાં ૪ પબ્લિક ટૉઇલેટ્સ ઑલરેડી છે, પરંતુ એ પછી પણ એનો ઉપયોગ કરવાને બદલે લોકો દીવાલો પલાળવાનો ટૂંકો રસ્તો અપનાવતા હતા એટલે આ ક્રીએટિવ ઉકેલ વાપરવો પડ્યો હતો. પ્રશાસનનું કહેવું છે કે માત્ર નિયમ બનાવવાથી લોકોની વર્તણૂક નથી બદલાતી, તેમની આદતો બદલવા માટે ખાસ પગલાં લેવાં પડે છે.
