વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમથી ૧૧૨ જિલ્લાઓમાં પરિવર્તન આવ્યું છે, જે આકાંક્ષી બ્લૉક્સના કલ્યાણ માટેના કાર્યક્રમનો આધાર બનશે.
નવી દિલ્હીમાં ગઈ કાલે ભારત મંડપમ ખાતે ‘સંકલ્પ સપ્તાહ’ નામના આકાંક્ષી બ્લૉક્સ માટેના એક અઠવાડિયાના પ્રોગ્રામની શરૂઆત દરમ્યાન કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, ભારતી પવાર, સાધ્વી નિરંજન જ્યોતિની સાથે પીએમ નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ.
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમથી ૧૧૨ જિલ્લાઓમાં પરિવર્તન આવ્યું છે, જે આકાંક્ષી બ્લૉક્સના કલ્યાણ માટેના કાર્યક્રમનો આધાર બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમની સફળતાની સમીક્ષા કરવા માટે તેઓ આવતા વર્ષે પાછા આવશે.
નવી દિલ્હીમાં આકાંક્ષી બ્લૉક્સ પ્રોગ્રામના અમલને સંબંધિત ‘સંકલ્પ સપ્તાહ’ને લૉન્ચ કરવા માટેના એક કાર્યક્રમને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આકાંક્ષી જિલ્લા પ્રોગ્રામથી ૧૧૨ જિલ્લાઓમાં ૨૫ કરોડ લોકો કરતાં વધુ લોકોની જિંદગી બદલાઈ ગઈ છે. આ આકાંક્ષી જિલ્લા હવે પ્રેરણાદાયી જિલ્લા બની ગયા છે. એ જ રીતે આગામી એક વર્ષમાં ૫૦૦ આકાંક્ષી બ્લૉક્સમાંથી ઓછામાં ઓછા ૧૦૦ પ્રેરણાદાયી બ્લૉક્સ બનશે.’
તેમણે ઑડિયન્સને જણાવ્યું હતું કે ‘મને ખાતરી છે કે ૨૦૨૪માં ઑક્ટોબર-નવેમ્બરમાં આપણે ફરી મળીશું અને આ પ્રોગ્રામની સફળતાનું મૂલ્યાંકન કરીશું.’

