કંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી બન્નેને TA 912 જારી કરવામાં આવ્યું હતું.
માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર માર્યાના બીજા દિવસે ટ્રેનનો કાટમાળ.
ત્રિપુરાના અગરતલાથી કલકત્તાના સિયાલદાહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને સોમવારે સવારે ન્યુ જલપાઈગુડી સ્ટેશન નજીક એક માલગાડીએ ટક્કર મારતાં ૧૦ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૪૧ લોકો ઘાયલ થયા હતા. પ્રારંભિક તપાસ પરથી એવું સામે આવ્યું હતું કે આ દુર્ઘટના માનવીય ભૂલ અને સિગ્નલ-ફેલ્યરનું પરિણામ છે. કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારનારી માલગાડીની ઑટોમૅટિક સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી હતી અને એની સ્પીડ નિર્ધારિત લિમિટ કરતાં વધારે હતી. જ્યારે ઑટોમેટેડ સિસ્ટમ ફેલ થાય છે ત્યારે રેલવે પ્રોટોકૉલ TA 912 તરીકે ઓળખાતા ડૉક્યુમેન્ટને ફરજિયાત બનાવે છે જે ટ્રેન-ડ્રાઇવરને સિગ્નલમાં ખામીને કારણે તમામ રેડ સિગ્નલ પસાર કરવાની પરવાનગી આપે છે.
કંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી બન્નેને TA 912 જારી કરવામાં આવ્યું હતું. આ પાસ હેઠળ ડ્રાઇવરને દરેક ખામીયુક્ત સિગ્નલ પર એક મિનિટ માટે રોકાવાનું હોય છે અને મહત્તમ ૧૦ કિલોમીટર પર અવર (kmph)ની ઝડપે આગળ વધવાનું હોય છે. એ ઉપરાંત જો અગાઉની ટ્રેને સિગ્નલ ક્લિયર કર્યું હોય તો એ ટ્રેન સાથે ૧૫૦ મીટરનું અંતર રહે એની ખાતરી કરવાની હોય છે. આ ઘટનામાં માલગાડીના ડ્રાઇવરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. કંચનજંગા એક્સપ્રેસે TA 912 સાથે ૯ ઑટોમૅટિક સિગ્નલ પાસ કર્યાં હતાં અને એ પછી આગળ વધવાની મંજૂરીની રાહ જોઈને એ ઊભી રહી ગઈ હતી. બીજી તરફ માલગાડીના ડ્રાઇવરે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સ્પીડ પર ટ્રેન ચલાવીને કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી દીધી હતી.

