આશરે ૮૦ લાખ જેટલા દાવાઓનું સમાધાન બાકી છે, ચૂંટણીપંચ ૨૮ ફેબ્રુઆરીએ મતદારયાદી જાહેર કરશે
ફાઇલ તસવીર
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં સામે આવેલા ૮૦ લાખ દાવાઓના વેરિફિકેશનમાં મદદ કરવા માટે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઓડિશા અને ઝારખંડના સિવિલ જજોને તહેનાત કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે કલકત્તા હાઈ કોર્ટ પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઝારખંડ અને ઓડિશાના સિવિલ જજોની મદદ લઈ શકે છે. ચૂંટણીપંચ તેમનો ખર્ચ ઉઠાવશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે ચૂંટણીપંચને જણાવ્યું હતું કે એ ૨૮ ફેબ્રુઆરીએ બંગાળ માટે અંતિમ SIR યાદી પ્રકાશિત કરી શકે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો ચકાસણી-પ્રક્રિયા આગળ વધે તો ચૂંટણી-પૅનલ પૂરક યાદી જાહેર કરી શકે છે.
ADVERTISEMENT
રાજ્યમાં SIR પ્રક્રિયા દરમ્યાન યાદીમાંથી દૂર કરાયેલા ૮૦ લાખ દાવાઓમાં માતા-પિતાનાં નામ અને મતદાર અને તેમનાં માતા-પિતા વચ્ચે ૧૫ વર્ષથી ઓછાં અથવા ૫૦ વર્ષથી વધુ ઉંમરનો તફાવત સામેલ છે.
સુપ્રીમ કોર્ટને લખેલા પત્રમાં કલકત્તા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ૮૦ લાખ લોકોના દાવાઓની પ્રક્રિયા કરવામાં ૨૫૦ જિલ્લા ન્યાયાધીશોને ૮૦ દિવસનો સમય લાગી શકે છે. આના પર કાર્યવાહી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સિવિલ જજોની મદદ લેવાની પરવાનગી આપી હતી.
