કયા નેતાની પસંદગી થશે એ હજી નક્કી નથી : સુવેન્દુ અધિકારી, સમીક ભટ્ટાચાર્ય અને દિલીપ ઘોષના નામો રેસમાં સૌથી આગળ છે
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત પછી ૯ મેના શનિવારે BJPની પહેલી સરકારની શપથવિધિ કરવાની જાહેરાત થઈ છે. એ દિવસે રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતી છે. BJPના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ આ માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીત પછી BJPના હેડક્વૉર્ટરમાં કાર્યકરોને સંબોધન કર્યું ત્યારે પણ રવીન્દ્રનાથ ટાગોરના આદર્શોનો ઉલ્લેખ કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં પાર્ટીના વિધાનસભાના નેતા એટલે કે મુખ્ય પ્રધાનની પસંદગીની પ્રક્રિયાની દેખરેખ માટે અમિત શાહને ઑબ્ઝર્વર નીમવામાં આવ્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝી કો-ઑબ્ઝર્વર તરીકે સાથે રહેશે. તેઓ નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે બેઠક કરીને પાર્ટીના નેતાની પસંદગી કરશે. એ ફાઇનલ છે કે ૯ મેએ પશ્ચિમ બંગાળમાં નવા મુખ્ય પ્રધાન શપથ લેશે. એ કોણ હશે એ અમિત શાહ અને મોહન ચરણ માંઝીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નક્કી થશે.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને બબ્બે વાર હાર ચખાડનારા સુવેન્દુ અધિકારીનું નામ સૌથી મજબૂત છે. તેઓ TMCની સરકારમાં પણ પ્રધાનપદે રહી ચૂક્યા છે. જોકે તેઓ BJPના જૂના સાથી નથી. BJP રાજ્યોમાં સંગઠનની નવી ટીમની પસંદગી દરમ્યાન રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના બૅકગ્રાઉન્ડવાળા નેતાને વધુ મહત્ત્વ આપે છે એટલે એવી સંભાવના પણ છે કે પશ્ચિમ બંગાળના પહેલા મુખ્ય પ્રધાન RSSના બૅકગ્રાઉન્ડ સાથે સંકળાયેલા હોય. આ ફૅક્ટરને ધ્યાનમાં લેતાં સમીક ભટ્ટાચાર્ય અને દિલીપ ઘોષની પસંદગી પણ શક્ય છે.
