યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને અભિષેક બચ્ચન સ્મશાનયાત્રામાં જોડાયા
સૈફઈમાં મુલાયમ સિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અખિલેશ યાદવને સાંત્વના આપતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ
સમાજવાદી નેતા મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર ગઈ કાલે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના તેમના વતનના શહેર સૈફઈ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત દેશના વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અન્ય હજારો સમર્થકોની સાથે ઘરથી સ્મશાન સુધી ચાલતા ગયા હતા.
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યુપીના ત્રણ વખત મુખ્ય પ્રધાન તેમ જ દેશના ડિફેન્સ મિનિસ્ટરના પદ પર રહ્યા હતા. સોમવારે તેમનું અવસાન થયું એ પહેલાં મહિનાઓથી તેઓ બીમાર હતા. તેમના પુત્ર તથા સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે ચિતાને મુખાગ્નિ આપ્યો હતો. રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, તેલંગણ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ અને ભૂપેશ બઘેલ પણ હાજર રહ્યા હતા. મુલાયમ સિંહના જૂના સાથી અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ અંતિમયાત્રામાં જોડાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલાં એમના શોકસંદેશમાં એમને કટોકટી દરમ્યાન લોકશાહીના મુખ્ય સૈનિક ગણાવ્યા હતા. અંતિમસંસ્કાર દરમ્યાન કાર્યકર્તાઓએ ‘નેતાજી અમર રહે’નો સૂત્રોચ્ચાર કર્યો હતો.