ઇલેક્ટોરલ બૉન્ડના ટીકાકારોને નીતિન ગડકરીનો સવાલ
નીતિન ગડકરી
કેન્દ્રના ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાનો બચાવ કરીને એના ટીકાકારોને સવાલ કર્યો હતો કે આ બૉન્ડની યોજનામાં ખોટું શું છે? એક મુલાકાતમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે બૉન્ડ દ્વારા નાણાં મળે એવા આઇડિયા પાછળ દેશના અર્થતંત્રને નંબર વન બનાવવાનો વિચાર હતો. આ વિચારમાં શું ખોટું છે. એ હકીકત છે કે દરેક પાર્ટીને ચૂંટણી લડવા માટે નાણાંની જરૂર હોય છે. દરેક પાર્ટીની એ જરૂરિયાત છે.’
સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે કોઈ િટપ્પણી કરવાની ના પાડીને તેમણે કાળાં નાણાંનો ઉલ્લેખ કરતાં વધુમાં જણાવ્યું હતું કે ‘ઇલેક્ટોરલ બૉન્ડની યોજનાને રદ કરવાના ઘણા ગેરફાયદા છે. બૉન્ડ રદ કરવાથી લોકો બે નંબરમાં નાણાં લેશે.’ ભારતીય જનતા પાર્ટી (BJP) અને ડોનેશન આપનારા લોકો વચ્ચે સાઠગાંઠ છે એવા આરોપોને ફગાવતાં ગડકરીએ કહ્યું હતું કે ‘શ્રીમંત લોકો કૉન્ટ્રૅક્ટર હોઈ શકે અથવા એવા લોકો હોઈ શકે જેમણે વેપાર અને ઉદ્યોગજગતમાં કમાણી કરી છે. આથી એવા આરોપ લગાવી શકાય નહીં.’
ADVERTISEMENT
આવા બૉન્ડથી કાળાં નાણાં અર્થતંત્રમાં આવી શકે એવા દાવાને ફગાવતાં ગડકરીએ કહ્યું હતું કે ‘જે નાણાં વિકાસ કરે, લોકોને રોજગાર આપે અને મહેસૂલી આવક ઊભી કરે એ કાળાં નાણાં કેવી રીતે હોઈ શકે? મુખ્ય સમસ્યા એ છે કે ભારતીય નાણાંને દેશની બહાર લઈ જવામાં આવે છે અને પછી એને અન્ય ક્યાંક ડમ્પ કરી દેવાય છે.’