આતંકવાદીઓએ અટૅક પહેલાં ઝાડ નીચે લંચ કર્યું, હત્યાકાંડ લાઇવ રેકૉર્ડ કરવા હેલ્મેટ પર કૅમેરા લગાવ્યો
CCTV ફૂટેજ
પહલગામમાં ગયા વર્ષે ૨૬ નિર્દોષ લોકોની કરપીણ હત્યા કરનારા પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓ અંગે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પહલગામ નરસંહારને અંજામ આપનારા આતંકીઓની ક્રૂરતા અને તેમના આયોજનબદ્ધ કાવતરાને લઈને અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે.
NIAની ચાર્જશીટ અનુસાર ૨૬ નિર્દોષ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારતાં પહેલાં ત્રણેય આતંકવાદીઓએ પહલગામના એક ઝાડ નીચે બેસીને આરામથી લંચ કર્યું હતું. આતંકવાદીઓએ સ્થાનિક સ્તરે રેકી કરીને આ ઘાતકી હુમલાનો આખો રોડમૅપ તૈયાર કર્યો હતો.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદીઓ પોતાનાં ઘાતક હથિયારો લઈને એ વિસ્તારમાં ફરતા હતા ત્યારે કોઈને શંકા ન જાય એ માટે પોતાની જાતને ધાબળાથી ઢાંકી રાખી હતી. ધાબળાની આડમાં તેમણે અત્યાધુનિક ઑટોમૅટિક હથિયારો છુપાવ્યાં હતાં અને તક મળતાં જ પર્યટકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આ કાવતરામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આતંકવાદીઓ આ હત્યાકાંડનો વિડિયો બનાવીને સરહદ પાર બેઠેલા તેમના આકાઓને મોકલવા અને સોશ્યલ મીડિયા પર આતંક ફેલાવવા માગતા હતા. આ માટે આતંકવાદીઓ પૈકીના એકે પોતાની હેલ્મેટ પર ખાસ કૅમેરા લગાવ્યો હતો, જેથી સમગ્ર હુમલાનું અને લોકોની હત્યાઓનું લાઇવ રેકૉર્ડિંગ કરી શકાય. ચાર્જશીટમાં એ પણ દાવો થયો હતો કે મિશન પૂરું કર્યાં પછી તેમણે સેલિબ્રેશન કરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.
NIAની ચાર્જશીટમાં આ આતંકવાદી સંગઠનના સ્થાનિક મદદગારો અને પાકિસ્તાન કનેક્શનના પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે, જે દર્શાવે છે કે આ હુમલો કાશ્મીરમાં ભયનું વાતાવરણ ઊભું કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો એક ભાગ હતો.
