દર ૧૦૦૦માંથી એક મુસાફર કરે છે રેલવેની સામગ્રીની ચોરી
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેના AC કોચમાં મુસાફરી કરતા લોકોની એક વિચિત્ર અને ચિંતાજનક આદત સામે આવી છે. એક મીડિયા-હાઉસ દ્વારા દેશનાં રેલવે ડિવિઝનોમાં કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળની અરજીના જવાબોમાં ખુલાસો થયો હતો કે જાન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૬ સુધીના સમયગાળામાં કોચમાંથી મુસાફરો દ્વારા ૧.૨૭ કરોડથી વધુ બેડરોલ આઇટમ્સ (ચાદર, ટુવાલ, ધાબળા અને ઓશીકાં)ની ચોરી કરવામાં આવી હતી. આ ચોરીના કારણે બેડરોલ સપ્લાય કરતા કૉન્ટ્રૅક્ટરોને આશરે ૧૦૪.૫૧ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું
પડ્યું છે.
રેલવેમાં દરરોજ અંદાજે ૮ લાખ મુસાફરોને બેડરોલ આપવામાં આવે છે, જેમાંથી દર ૧૦૦૦ મુસાફરોએ સરેરાશ એક મુસાફર કોઈ ને કોઈ વસ્તુ પોતાની સાથે ઘરે લઈ જાય છે. વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ દરમ્યાન આવી ચોરીઓમાં ૫૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. ચોરાયેલી વસ્તુઓમાં સૌથી વધુ ૪૬.૫૪ લાખ ફેસ-ટૉવેલ અને ૪૧.૧૩ લાખ બેડશીટ સામેલ છે, કારણ કે ટૉવેલ સહેલાઈથી બેગમાં છુપાવી શકાય છે.
ADVERTISEMENT
ચોરીમાં મોખરે કોણ?
આ યાદીમાં રાજસ્થાનનું બિકાનેર ડિવિઝન ૨૫.૭૬ લાખ વસ્તુઓની ચોરી સાથે દેશમાં સૌથી મોખરે છે, જ્યારે રાંચી અને દિલ્હી અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. બીજી તરફ દક્ષિણ ભારતના તિરુચિરાપલ્લી અને પલક્કડ ડિવિઝનમાંથી એક પણ ચોરી નોંધાઈ નથી. આ નુકસાનની વસૂલાત કૉન્ટ્રૅક્ટરો દ્વારા ટ્રેનના ગરીબ અટેન્ડન્ટ્સના પગારમાંથી કરવામાં આવે છે, જેને લીધે તેમના માસિક વેતનમાંથી ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા કપાઈ જાય છે. રેલવે હવે CCTV કૅમેરા અને કોચ મિત્ર ઍપ દ્વારા આ ચોરીઓ રોકવા કડક પગલાં ભરી રહી છે.
