રસીની અછતને દૂર કરવા વિદેશી રસીઓને ઇમર્જન્સી મંજૂરી આપવાની પ્રક્રિયાની ઝડપ વધારી
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં રસીની અછતને દૂર કરવામાં તેમ જ તમામને વૅક્સિન મળી રહે એ દિશામાં સરકારે મોટો નિર્ણય લીધો છે. અમેરિકા, યુરોપ તેમ જ ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં મંજૂરી મળી જશે. આમ આ નિર્ણયથી ફાઇઝર, મૉડર્ના ઉપરાંત જૉનસન ઍન્ડ જૉન્સનની રસી ભારતમાં મળતી થઈ જશે. ગઈ કાલે જ ભારતે રશિયાની સ્પૂટનિક રસીને મંજૂરી આપી હતી.
નૅશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વૅક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19 (એનઈજીવીએસી)એ વાટાઘાટો કર્યા બાદ વિદેશમાં વિકસાવાયેલી અને ઉત્પાદિત થઈ રહેલી અને યુએસએફડીએ, ઈએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ, જપાન દ્વારા નિયંત્રિત ઉપયોગ માટે ઇમર્જન્સી મંજૂરી અપાઈ હોય એવી અથવા તો ડબ્લ્યુએચઓ (ઇમર્જન્સી યુઝ લિસ્ટિંગ)માં સૂચિબદ્ધ હોય, એવી કોરોનાની રસીઓને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી શકાય છે. આ માટે ન્યુ ડ્રગ્ઝ ઍન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, ૨૦૧૯ના સેકન્ડ શેડ્યુલ હેઠળ નિર્દિષ્ટ જોગવાઈઓ અનુસાર મંજૂરી બાદ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવી જરૂરી છે, એમ મંત્રાલયે ઉમેર્યું હતું.