મહારાષ્ટ્રના રાજકારણમાં સંભવિત નવાં સમીકરણોથી પણ એનડીએનાં ઉમેદવારને લાભ થઈ શકે
નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
રાષ્ટ્રપતિના પદ માટે ૧૮ જુલાઈએ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાની વચ્ચે ચૂંટણી થશે. બીજેપીના નેતૃત્વવાળી એનડીએ સરકારે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ વિપક્ષોએ યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. અત્યારે તો રાષ્ટ્રપતિની રેસમાં મુર્મુ ખાસ્સા આગળ છે. જોકે એનડીએની પાસે હજી બહુમતી નથી.
દ્રૌપદી મુર્મુનું નામ ફાઇનલ કરવાથી એનડીએને લાભ થઈ શકે છે. ઓડિશાના મુખ્ય પ્રધાન અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે રાજ્યના તમામ વિધાનસભ્યોને દ્રૌપદી મુર્મુને વોટ આપવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘ઓડિશા વિધાનસભાના તમામ સભ્યોને હું પાર્ટી લાઇનથી પર, ઓડિશાની દીકરી દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ પદ પર બેસાડવા માટે સર્વસંમતિથી સપોર્ટ આપવાની અપીલ કરું છું.’
ADVERTISEMENT
બીજી તરફ બિહારના મુખ્ય પ્રધાન અને જેડી (યુ)ના નેતા નીતિશ કુમારે મુર્મુની પસંદગીનું સ્વાગત કર્યું હતું. એનાથી બીજેપી અને જેડી (યુ)ની વચ્ચે ચાલી રહેલા તનાવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રતિકૂળ અસરો પડી શકે છે એ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યો છે.
એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં અત્યારે મચેલી ઊથલપાથલથી પણ યશવંત સિંહા જીતે એવી શક્યતાઓ ઓછી થઈ જાય છે.