ઓવૈસીને ભારત ગમતું ન હોય તો પાકિસ્તાન જતા રહેઃ મહંત નરેન્દ્રગિરિ
અસદુદ્દીન ઓવૈસી
અયોધ્યાકેસમાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા અપાયેલા નિવેદનને લઈને સંત સમાજમાં ઊકળતા ચરુ જોવા મળી રહ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગિરિએ તેમની ટીકા કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારવો નહીં એ રાજદ્રોહ છે.
તેમણે કહ્યું છે કે ઓવૈસી ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જો ઓવૈસીને ભારત ગમતું નથી તો તેમણે ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.
મહંત નરેન્દ્રગિરિએ ચેતવણી આપી છે કે ઓવૈસી હંમેશાં હિન્દુઓ અને સંતોનું અપમાન કરે છે. જો ઓવૈસી ફરીથી આવી ભાષાનો ઉપયોગ કરે છે તો સાધુ સંત સમાજ અને અખાડા કાઉન્સિલ એને સહન નહીં કરે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને વિવાદિત સ્થળે મંદિરનિર્માણ માટે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે વિવાદિત ૨.૭૭ એકર જમીનનો અધિકાર રામલલ્લાની મૂર્તિને સોંપવો જોઈએ. જોકે એનો કબજો કેન્દ્ર સરકારના રિસીવર પાસે જ રહેશે.