ગૂગલે આજે ભારતીય બાયોમેડિકલ રિસર્ચર ડૉ. કમલ જયસિંહ રણદિવે (Dr. Kamal Ranadive)ના જન્મદિવસ પર ડૂડલ બનાવી તેમને સમર્પિત કર્યુ છે.
ગૂગલે ભારતીય બાયોમેડિકલ રિસર્ચર ડૉ. કમલ જયસિંહ રણદિવેને ડૂડલ સમર્પિત કર્યુ
આજે ગૂગલે ફરી ડૂડલ બનાવી એક મહાન હસ્તીને યાદ કર્યા છે. સર્ચ એન્જિન ગૂગલે આજે ભારતીય બાયોમેડિકલ રિસર્ચર ડૉ. કમલ જયસિંહ રણદિવે (Dr. Kamal Ranadive)ના જન્મદિવસ પર ડૂડલ બનાવી તેમને સમર્પિત કર્યુ છે. ડૉ. કમલ જયસિંહની આજે 104મી જન્મજયંતી છે. રણદિવે કેન્સર અને વાયરસ વચ્ચેના સંબંધો વિશે રિસર્ચ કરવા માટે જાણીતા હતા. આ ગૂગલ ડૂડલ (Google Doodle)માં ડૉ કમલ રણદિવે એક માઈક્રોસ્કોપને જોતા દેખાઈ રહ્યાં છે.
આજનું ડૂડલ ભારતના ગેસ્ટ આર્ટિસ્ટ ઈબ્રાહિમ રયિન્તાકછ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ અંગે વાત કરતાં ઈબ્રાહિમે જણાવ્યું કે, મારી પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત 20મી શતાબ્દીની લેબ અસ્થેટિક્સ અને વાયરસ અને કેન્સર સંબંધિત કોશિકાઓની સુક્ષ્મ દુનિયા હતી.
ADVERTISEMENT
કમલ રણદિવેનો જન્મ 8 નવેમ્બર 1917માં પુનામાં થયો હતો. તેમને કમલ સમરથના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના પિતા દિનકર હત્તાત્રેયએ રણદિવેને મેડિકલ શિક્ષણ લેવા પ્રેરિત કર્યા હતાં. તે ખુદ એક જીવવિજ્ઞાની હતા અને પુનાના ફર્ગ્યૂસન કોલેજમાં પ્રોફેસર હતાં.
1960ના દશકમાં રણદિવેએ મુંબઈમાં ભારતીય કેન્સર અનુસંધાન કેન્દ્ર (ICRC)માં ભારતની પ્રથમ ટીશ્યુ કલ્ચર સંશોધન પ્રયોગશાળાની સ્થાપના કરી.ICRCમાં સંશોધક તરીકે કામ કરતી વખતે તેમણે સાયટોલૉજી, કોષોના અભ્યાસમાં ડોક્ટરેટની પદવી મેળવી. બાલ્ટીમોર, મેરીલેન્ડ, યુએસએમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ફેલોશિપ પછી રણદિવે મુંબઈ અને ICRCપરત ફર્યા જ્યાં તેમણે દેશની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી. રણદિવે માયકોબેક્ટેરિયમ લેપ્રીનો અભ્યાસ કર્યો, જે બેક્ટેરિયમ રક્તપિત્તનું કારણ બને છે.
1966 થી 1970 સુધી, તેઓ ભારતીય કેન્સર સંશોધન કેન્દ્રના ડિરેક્ટર પદે રહ્યા.1960 ના દાયકાની શરૂઆતમાં તેમણે જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના ક્ષેત્રોમાં તેમના સહાયકો સાથે, ટીશ્યુ કલ્ચર મીડિયા અને સંબંધિત રીએજન્ટ્સ વિકસાવ્યા.
1973 માં, ડૉ. રણદિવે અને તેમના 11 સાથીઓએ વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં મહિલાઓને ટેકો આપવા માટે ઇન્ડિયન એસોસિએશન ઑફ વિમેન સાયન્ટિસ્ટ્સ (IWSA) ની સ્થાપના કરી.1982 માં તેમને દવાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.


