નામાંકન ૮ જૂન સુધીમાં ભરી દેવાનું રહેશે અને ૧૮ જૂને મતદાન અને મતગણતરી થશે
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ગઈ કાલે ભારતનાં ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૨૭ બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર સભ્યોનો કાર્યકાળ પૂરો થવાથી ચૂંટણી થશે અને ૩ બેઠક પર ઉપચૂંટણી થવાની છે. ચૂંટણીપંચે બહાર પાડેલા શેડ્યુલ મુજબ આંધ્ર પ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ૪-૪ બેઠકો માટે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ૩-૩ બેઠકો માટે, ઝારખંડમાં બે બેઠકો માટે અને મણિપુર, મેઘાલય, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં ૧-૧ બેઠક માટે ચૂંટણી થશે. રાજ્યસભાની બેઠકો પર મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં ૧-૧ બેઠક પર ઉપચૂંટણી પણ થશે.
ગઈ કાલે પહેલી જૂનથી આ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ હતી જે ૮ જૂન સુધી ચાલશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૧૧ જૂન છે. ૧૮ જૂને સવારે ૮ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન થશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થશે.
આ ચૂંટણી માત્ર રાજ્યસભાની ખાલી સીટો ભરવા સુધી જ મહત્ત્વની નથી, પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને રાજનીતિક સમીકરણોના દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વની મનાય છે. BJP દરેક રાજ્યમાં સામાજિક અને ક્ષેત્રીય સંતુલન બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે.
ADVERTISEMENT
૩ રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદની ૧૭ બેઠકો પર પણ ચૂંટણી
બિહાર અને કર્ણાટકમાં રાજ્ય વિધાન પરિષદની બેઠકો માટે પણ ૧૮ જૂને જ મતદાન અને મતગણતરી થશે. બિહારમાં ૧૦ અને કર્ણાટકમાં ૭ બેઠકો પર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી થશે.
